09 September, 2019 08:45 PM IST | Mumbai
Mumbai : ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ સુકાની અને દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેના અનુસાર અનુસાર રવિચંદ્રન અશ્વિન ભારતનો ટોપ સ્પિનર છે. કુંબલેએ કહ્યું કે, અશ્વિનને ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મળવું જોઈએ. અશ્વિનને તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝની ટૂર પર બંને ટેસ્ટમાં રમાડવામાં આવ્યો ન હતો. તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને મુખ્ય સ્પિનર તરીકે ટીમમાં જગ્યા મળી હતી. કુંબલેએ એક ઇન્ટરવ્યૂમાં અશ્વિનના વખાણ કરતા કહ્યું કે, તે હજી પણ ભારતનો શ્રેષ્ઠ સ્પિનર છે. તે થોડા સમય પહેલા ઇજાના લીધે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. પરંતુ તે ટીમનો નંબર 1 સ્પિનર છે. ટીમ મેનેજમેન્ટે તેને પ્લેઈંગ 11માં સ્થાન આપવું જ જોઈએ.
બે સ્પિનર્સને પ્લેઈંગ 11માં સ્થાન મળવું જોઈએ
કુંબલેએ અશ્વિન અને જાડેજાના વખાણ કરતા કહ્યું કે, મારુ માનવું છે કે ટીમમાં બે સ્પિનર્સ હોવા જોઈએ. અશ્વિન અને જાડેજા બોલિંગ ઉપરાંત શાનદાર બેટિંગ પણ કરે છે. અશ્વિને ટેસ્ટમાં 4 સદી ફટકારી છે. તેમજ જાડેજા પણ છેલ્લા કેટલાક સમયથી સારી બેટિંગ કરી રહ્યો છે. વિન્ડીઝ સામે પણ તેનું પ્રદર્શન સરસ હતું. ભારત હંમેશા ચાર બોલર્સના જોરે 20 વિકેટ ઝડપી શકે તે શક્ય નથી. તેથી ટીમમાં બે સ્પિનર્સ અને કુલ 5 બોલર્સને રમાડવા જોઈએ.
આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....
અશ્વિન ડિસેમ્બર 2018 પછી કોઈ ટેસ્ટ રમ્યો નથી
અશ્વિને અંતિમ ટેસ્ટ ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન એડિલેડ ખાતે રમી હતી. મેચ સમયે તેને પેટમાં ઇજા થઇ હતી. તે પછી સીરિઝની બહાર થઇ ગયો હતો. ત્યાર બાદ અશ્વિન એક પણ ટેસ્ટ રમ્યો નથી. અશ્વિને પોતાના ટેસ્ટ કરિયરમાં 65 મેચમાં 25.43ની એવરેજથી કુલ 342 વિકેટ ઝડપી છે. તેની બોલિંગ સ્ટ્રાઇક રેટ 53.7 છે જે 200થી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર્સમાં સૌથી વધારે છે.