05 March, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત મિશ્રા
ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ છેલ્લા એક વર્ષમાં ક્રિકેટ-કરીઅરમાં ઘણા ઉતાર-ચડાવનો સામનો કર્યો છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શનના કારણે તેણે અંતિમ ટેસ્ટ-મૅચમાં પોતાને ટીમમાંથી ડ્રૉપ કરી દીધો હતો. આ વિશે વાત કરતાં ભૂતપૂર્વ ભારતીય લેગ-સ્પિનર અમિત મિશ્રા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એ કોઈ PR (પબ્લિક રિલેશન) પ્રવૃત્તિ નહોતી, મને વ્યક્તિગત રીતે એવું લાગે છે. તેનો સ્વભાવ એવો નથી. હું તેને વ્યક્તિગત રીતે ઓળખું છું. તે એવો પ્લેયર નથી જે પોતાના PR માટે આવું કંઈક કરે. આ સમયે તેના કરતાં કોણ સારું છે? શું ટેસ્ટ-ક્રિકેટમાં તેની જેમ પ્રેશરનો સામનો કોઈ કરી શકે છે? ભલે તે સંઘર્ષ કરી રહ્યો હોય, પરંતુ એવા કોઈ પ્લેયરનું નામ જણાવો જે તેના જેવા પ્રેશરનો સામનો કરી શકે. તમે યુવા પ્લેયર્સને ટેકો આપો છો અને તેણે એ જ કર્યું છે. તમે એવા કૅપ્ટનનું નામ જણાવો જેણે ઑસ્ટ્રેલિયામાં પોતાને ડ્રૉપ રાખવાનો નિર્ણય લીધો હોય.’