13 August, 2019 08:30 PM IST | Mumbai
Mumbai : IPL માં રાજસ્થાન રોયલ્સની ઓળખ બનેલો અજિંક્ય રહાણે આગામી સીઝનથી દિલ્હી કેપિટલ્સ માટે રમતો જોવા મળી શકે છે. આ અંગે દિલ્હીની ફ્રેન્ચાઈઝ રોયલ્સ સાથે ડીલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગઈ સીઝનના અંત ભાગમાં રોયલ્સે રહાણેની જગ્યાએ સ્ટીવ સ્મિથને કેપ્ટન બનાવ્યો હતો. સૂત્રો અનુસાર રાજસ્થાને હજી સુધી આ અંગે નિર્ણય લીધો નથી, રહાણે બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી તેમના માટે નિર્ણય લેવો સરળ નહીં રહે.
આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?
અજિંક્ય રહાણે હેઠળ રોયલ્સ 6માંથી 3 વાર પ્લેઓફમાં પહોંચ્યું હતું. જયારે દિલ્હી આ વર્ષે 7 વર્ષ પછી પહેલી વાર પ્લેઓફમાં પહોંચ્યું હતું. દિલ્હીએ શિખર ધવન અને ઇશાંત શર્માનો ટીમમાં સમાવેશ કર્યો હતો. તેનાથી તેમને સારો ફાયદો થયો હતો. દિલ્હીની ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું યોગ્ય મિશ્રણ છે. શ્રેયસ ઐયર, પૃથ્વી શો અને ઋષભ પંત જેવી પ્રતિભા પણ હાજર છે. તેવામાં રહાણેને પોતાની ટીમમાં લાવવામાં સફળ રહે તો દિલ્હીની તાકત વધુ મજબૂત થશે. દિલ્હીના એક ઓફિશિયલે કહ્યું હતું કે રહાણે અમારી ટીમમાં કઈ રીતનું યોગદાન આપશે તે અંગે કોઈએ પણ ચર્ચા કરવાની જરૂર નથી. ધવન અને ઇશાંતે સાબિત કર્યું છે કે અનુભવી ખેલાડીઓ પોતાની સાથે શું લાવે છે. જો અમે રહાણેને સાઈન કરી શક્યા તો અમારા માટે ડ્રિમ મુવ સાબિત થશે.