કોહલી કરતાં વધુ ખતરનાક છે રોહિત અને ધવન : રૉસ ટેલર

22 January, 2019 11:26 AM IST  | 

કોહલી કરતાં વધુ ખતરનાક છે રોહિત અને ધવન : રૉસ ટેલર

રૉસ ટેલર

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે વન-ડે સિરીઝની પહેલી મૅચ ૨૩ જાન્યુઆરીથી નેપિયરમાં રમાશે. દરમ્યાન ભારતીય ટીમ પાંચ વન-ડે અને ત્રણ T૨૦ રમશે. આ સિરીઝની શરૂઆત પહેલાં ન્યુ ઝીલૅન્ડના અનુભવી બૅટ્સમૅન રૉસ ટેલરનું માનવું છે કે ભારતીય ટીમ સામે ન્યુ ઝીલૅન્ડના બોલરોની આકરી પરીક્ષા થશે. ઑસ્ટ્રેલિયાને વન-ડે અને ટેસ્ટ-સિરીઝમાં હરાવ્યા બાદ ભારતીય ટીમ ન્યુ ઝીલૅન્ડમાં પણ પોતાના વિજયરથને યથાવત્ રાખવાનો પ્રયત્ન કરશે.

ટેલરે કહ્યું હતું કે ‘કોહલી એક સારો ખેલાડી છે. કદાચ વન-ડેનો સૌથી શ્રેષ્ઠ બૅટ્સમૅન છે, પરંતુ કોહલી કરતાં પહેલાં રમનાર રોહિત શર્મા અને શિખર ધવનને આઉટ કરવા સરળ નથી. આ બન્ને ઓપનર ઘણા સારા છે. ટીમે માત્ર કોહલીને કઈ રીતે રોકવો એના પર જ નહીં પરંતુ આ ઓપનરોનો સામનો કઈ રીતે કરવો એ વિશે પણ વિચારવું જોઈએ.’

ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં રોહિતે ૧૮૫ રન બનાવ્યા હતા. તે આ વન-ડે સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી રહ્યો હતો. જોકે ધવન આ સિરીઝમાં વધુ પ્રભાવિત કરી શક્યો નહોતો. ટેસ્ટ-સિરીઝમાં ઑસ્ટ્રેલિયાની ટીમે વિરાટ કોહલી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે ચેતેશ્વર પુજારા જ ઑસ્ટ્રેલિયા માટે માથાનો દુખાવો સાબિત થયો હતો. એથી જ આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે જ રૉસ ટેલરે પોતાની ટીમના ખેલાડીઓને ચેતવણી આપી હતી.

છેલ્લા પ્રવાસમાં નહોતો મળ્યો એક પણ વિજય

ભારતીય ટીમ છેલ્લે ૨૦૧૪માં મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન્સીમાં ન્યુ ઝીલૅન્ડના પ્રવાસે ગઈ હતી તેમ જ ખરાબ રીતે ફ્લૉપ રહી હતી. આ વખતે પણ વન-ડેની બીજા ક્રમાંકની ભારતીય ટીમ માટે પણ પડકાર એટલો સરળ નથી. ન્યુ ઝીલૅન્ડની ટીમ આ વખતે સારા ફૉર્મમાં છે. તાજેતરમાં જ તેણે શ્રીલંકાને ૩-૦થી હરાવ્યું હતું. ત્રણેય મૅચમાં ટીમે ૩૦૦ કરતાં વધુ રન બનાવ્યા હતા. ૨૦૧૪માં ભારત ન્યુ ઝીલૅન્ડમાં ગયું હતું ત્યારે પાંચ વન-ડેની સિરીઝ ૦-૪થી હાર્યું હતું. ન્યુ ઝીલૅન્ડમાં ભારત કુલ ૩૪ મૅચ રમ્યું છે જે પૈકી માત્ર ૧૦માં જ વિજય મેળવ્યો છે.

india new zealand virat kohli cricket news