26 February, 2019 12:20 PM IST |
વાનખેડેની વીર : બીજી વન-ડેમાં ૬૩ રન બનાવનાર ભારતની ઓપનર સ્મૃતિ મંધાના.
શિખા પાન્ડે અને ઝૂલન ગોસ્વામીએ ૪-૪ વિકેટ લઈને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતની વિમેન્સ ટીમે ઇંગ્લૅન્ડની ટીમને ૩ વન-ડે સિરીઝની બીજી મૅચમાં ૭ વિકેટથી હરાવીને સિરીઝમાં અજેય લીડ લીધી હતી. ટૉસ જીતીને ઇંગ્લૅન્ડની ટીમે ૪ વિકેટ ૪૪ના ટોટલે ગુમાવ્યા પછી નતાલી સ્કાઇવરના ૮૧ રનની મદદથી ૪૩.૩ ઓવરમાં ૧૬૧ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. શિખા પાન્ડેએ ૧૮ રનમાં ૪ અને પ્લેયર ઑફ ધ મૅચ ઝૂલન ગોસ્વામીએ ૩૦ રનમાં ૪ લીધી હતી.
આ પણ વાંચો : વર્લ્ડ કપ બાદ આ ક્રિકેટરો ક્રિકેટને કહી શકે છે અલવિદા
૧૬૨ રનનો સરળ ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ભારતની વિમેન્સ ટીમે જેમાઇમા રૉડ્રિગ્સની વિકેટ બીજી ઓવરમાં ગુમાવી હતી. સ્મૃતિ મંધાનાએ ૭૪ બૉલમાં ૬૩ અને કૅપ્ટન મિતાલી રાજે નૉટઆઉટ ૪૭ રન બનાવીને ટાર્ગેટ ૪૧.૧ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. ત્રીજી અને છેલ્લી વન-ડે ગુરુવારે આ જ ગ્રાઉન્ડમાં રમાશે.