18 August, 2019 09:26 AM IST | એન્ટિગા
રવિ શાસ્ત્રીનું કહેવું છે કે હું આવનારાં વર્ષમાં ટીમ સાથે સતત એક્સપરિમેન્ટ્સ કરતો રહીશ. ઇન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચની કમાન ફરી એક વાર રવિ શાસ્ત્રીના હાથમાં સોંપવામાં આવી છે. કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રિપુટીએ ૨૦૨૧ વર્લ્ડ ટી૨૦ સુધી શાસ્ત્રીની હેડ કોચપદે નિમણૂક કરી છે. હાલમાં શાસ્ત્રી ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટ ઇન્ડીઝ ટૂર પર છે, પણ પોતાની ફરીથી નિમણૂક થવા બદલ તેણે કારોબારી સભ્યોનો આભાર માન્યો છે. શાસ્ત્રીએ જણાવ્યું કે ‘સૌથી પહેલાં તો હું વહીવટી સમિતિનો આભાર માનું છું કે તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો. ટીમ ઇન્ડિયાનો હિસ્સો હોવું એક ગૌરવની વાત છે. મને ભરોસો છે કે આપણી ટીમ આ ભવ્ય વારસાને આગળ વધારશે, કારણ કે ઘણી સારી ટીમો આજે એ બાબતે પાછળ પડી ગઈ છે. જોકે આપણે ત્યાં સારી વાત એ છે કે દરેક પ્લેયરને પોતાના પ્રમાણે રમવાનો ચાન્સ મળે છે. હું ચોક્કસપણે કહી શકું છું કે નજીકના સમયમાં આપણે ત્યાં ધુઆંધાર રમત જોવા મળશે.’
કોઈ પણ વ્યક્તિ કે ટીમ પોતાની ભૂલમાંથી કંઈક શીખતી હોય છે, ટીમ ઇન્ડિયાના સંદર્ભે આ વિશે વાત કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘કોઈ પણ માણસ પર્ફેક્ટ નથી હોતો. તે પોતાની ભૂલમાંથી કશુંક શીખતો જ હોય છે. જો તમે કશુંક મેળવવા ભારે પ્રયત્ન કરશો તો તમારે નાનામાં નાની વાત પર ધ્યાન આપવું પડશે. જો તમારો કોઈ દિવસ ખરાબ જાય તો આવેલી તકલીફો સામે ઝઝૂમી એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરો.’
આ પણ વાંચોઃ ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ
ટીમ ઇન્ડિયાના પર્ફોર્મન્સનાં વખાણ કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષમાં ભારતીય ટીમ ઘણી સારી રીતે રમી રહી છે. એણે પોતાનું એક સ્તર બનાવ્યું છે અને હવે એ સ્તરથી ઉપર રમવાનું કામ પણ એ લોકોનું જ છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં ફીલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં નોંધપાત્ર સુધારા થયા છે. આવનારાં વર્ષોમાં ટીમમાં નવા પ્લેયરને ખાસ કરીને ત્રણ-ચાર નવા બોલરોને ચાન્સ આપવામાં આવશે. મારો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં મારો ટાર્ગેટ એ જ હશે કે ટીમને એ વારસો સોંપતો જાઉં જેને એ લોકો આવનારા નવા પ્લેયર સુધી પહોંચાડી શકે. અમે યુવાનોમાં વધુ રસ લઈશું અને એક્સપરિમેન્ટ્સ કરતા રહીશું.’