17 August, 2019 01:40 PM IST |
ટેસ્ટ સ્પેશ્યલિસ્ટ પ્લેયરો ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને બોલર જસપ્રીત બુમરાહ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ ઇલેવન સામે આજથી શરૂ થતી ૩ દિવસની પ્રૅક્ટિસ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સિરીઝની તૈયારી કરશે. ૨૨ જુલાઈથી બે ટેસ્ટની સિરીઝથી ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો પ્રારંભ કરશે.
સતત બે વન-ડેમાં સેન્ચુરી ફટકારનાર કૅપ્ટન વિરાટ કોહલીને મામૂલી ઈજા હોવાથી ટીમ-મૅનેજમેન્ટ તેને આરામ આપી શકે છે. ટી૨૦ સિરીઝ ૩-૦ અને વન-ડે સિરીઝ ૨-૦થી જીત્યા પછી જો ભારત ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહેશે તો પહેલી વખત કૅરિબિયન ટૂરમાં દરેક ફૉર્મેટમાં જીત મેળવવામાં સફળ રહેશે. રાજકોટનો ચેતેશ્વર પુજારા ૬ મહિના પછી રેડ બૉલ ક્રિકેટ રમશે. છેલ્લે તે રણજી ટ્રોફીની ફાઇનલમાં રમ્યો હતો.
આ પણ વાંચો: Ravi Shastri ફરીથી ટીમના હેડ કોચ બન્યા, ટી20 વર્લ્ડ કપ 2021 સુધી રહેશે કાર્યકાળ
ભારતનો વાઇસ-કૅપ્ટન અજિંક્ય રહાણે ટેસ્ટ સિરીઝની તૈયારી માટે ઇંગ્લિશ કાઉન્ટીમાં રમ્યો હતો, જેમાં તેણે ૭ મૅચમાં ૩૦૭ રન બનાવ્યા હતા. વન-ડે સિરીઝમાં કંગાળ પર્ફોર્મ કર્યા પછી રોહિત શર્મા અને રિષભ પંત ફૉર્મ પાછું મેળવવાના પ્રયત્ન કરશે. વૃદ્ધિમાન સહાને ‘એ’ ટીમ વતી હાલમાં બે ફિફ્ટી ફટકારવાનો ફાયદો મળશે.બોલિંગમાં પેસ ડિપાર્ટમેન્ટ ઉમેશ યાદવ અને ઇશાન્ત શર્મા, જ્યારે સ્પિન ડિપાર્ટમેન્ટ રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા સંભાળશે.