02 January, 2020 01:54 PM IST | Sydney
નૅથન લાયન
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ટેસ્ટ મૅચને પાંચ દિવસને બદલે ચાર દિવસની કરવાનો પ્રસ્તાવ ક્રિકેટ જગતમાં હાલમાં ચર્ચાઈ રહ્યો છે. આ દિશામાં ભારતે પોતાના વિચાર હજી સ્પષ્ટ કર્યા નથી, પણ ઑસ્ટ્રેલિયાના નૅથન લાયનને આ આઇડિયા પસંદ નથી. આ બાબતે વિસ્તારપૂર્વક વાત કરતાં લાયને કહ્યું હતું કે ‘તમે વિશ્વની મોટી ગેમ તરફ નજર માંડો અને જે ટેસ્ટ મૅચનો હું હિસ્સો રહ્યો હતો એમાંની અનેક મૅચનો નિર્ણય પાંચમા અને છેલ્લા દિવસે જ આવ્યો છે. તમે ૨૦૧૪માં એડિલેડમાં રમાયેલી ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની મૅચ જોઈ લો. એ પાંચમા દિવસના છેલ્લા અડધો કલાકમાં બદલાઈ હતી. ૨૦૧૪માં કૅપટાઉનમાં રમાયેલી મૅચ પણ કંઈક એવી જ હતી જેનો નિર્ણય પાંચમા દિવસની અંતિમ ક્ષણોમાં આવ્યો હતો. ખરું કહું તો હું ચાર દિવસની ટેસ્ટનો ફૅન નથી. મારા મતે પાંચમો દિવસ મૅચમાં ઘણો અગત્યનો હોય છે, કારણ કે એમાં ક્લાઇમેટ અને અન્ય પરિબળો પણ અસર કરતાં હોય છે.’