22 February, 2019 11:54 AM IST |
પ્રતીકાત્મક તસવીર
પુલવામામાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા પછી ક્રિકેટના મેદાન પર પણ ભારતે પાકિસ્તાનને ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાહુલ જૌહરીએ ICCને ઇમેલ કરીને પાકિસ્તાનને આગામી ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં ભાગ ન લેવા દેવાની વિનંતી કરી હતી. પાકિસ્તાનમાં આતંકવાદ સતત વધી રહ્યો છે અને ભારતના નિર્દોષ સૈનિકો શહીદ થઈ રહ્યા છે. ભારતીય બોર્ડે ICCને ચોખ્ખું જણાવ્યું છે કે ભારત દેશમાં પાકિસ્તાનવિરોધી માહોલ છે અને ભારત આતંકવાદ બાબતે કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી.
વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૬ જૂને માન્ચેસ્ટરમાં મૅચ રમાવાની છે. ટુર્નામેન્ટની લોકપ્રિયતા વધારવા માટે ICC દરેક ટુર્નામેન્ટની લીગ રાઉન્ડમાં અચૂક ભારત-પાકિસ્તાન મુકાબલો ગોઠવે છે. જો ભારત પાકિસ્તાન સામે મૅચ નહીં રમે તો ટુર્નામેન્ટના નિયમ પ્રમાણે પાકિસ્તાનને મૅચના બે પૉઇન્ટ્સ મળી જશે. જોકે વિરાટ કોહલીની ટીમ મજબૂત છે એટલે તેને પૉઇન્ટ્સ ગુમાવવાથી ખાસ કંઈ નુકસાન નહીં થાય.