23 April, 2020 12:18 PM IST | New Delhi | Agencies
જયદેવ ઉનડકટ
ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટનું કહેવું છે કે વર્ષ ૨૦૧૮માં આઇપીએલની હરાજીમાં તેને જે પ્રાઇઝ ટૅગ મળ્યું હતું એને લીધે તેને પોતાની ક્ષમતા પર ભરોસો બેઠો હતો. ૨૦૧૭માં ઉનડકટ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ માટે રમ્યો હતો જેમાં તેણે ૨૪ વિકેટ લીધી હતી અને ત્યાર બાદ ૨૦૧૮માં તેને રાજસ્થાન રૉયલ્સે ૧૧.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉનડકટની શાનદાર ઇનિંગ્સને કારણે સૌરાષ્ટ્રની ટીમ પહેલી વાર રણજી ટ્રૉફીનું ટાઇટલ જીતી શકી હતી. આઇપીએલ વિશે વાત કરતાં જયદેવે કહ્યું કે ‘૨૦૧૮ની લિલામી મારા કરીઅર માટે ઘણી મહત્ત્વની હતી. ૨૦૧૭ની સીઝન સારી રહ્યા બાદ હું આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ૨૦૧૭ની લિલામી પછી મને લાગતું હતું કે હું નૅશનલ ટીમ માટે રમી શકીશ અને પછીના આવનારી હરાજી પણ સારી રહેશે. જે પણ ફ્રૅન્ચાઇઝી મને ખરીદે તેની સાથે હું લાંબા સમય સુધી સંબંધ રાખવા ઇચ્છતો હતો. હું ખુશ હતો કે રાજસ્થાન રૉયલ્સે મને ખરીદ્યો, કેમ કે એ ફ્રૅન્ચાઇઝી પ્લેયરોને એના ડેટા એનાલિસિસ કર્યા પછી પસંદ કરે છે, નહીં કે માત્ર તેમના નામ પર. સારી વાત એ છે કે હજી પણ તેમના ખાતામાં મારું નામ સામેલ છે. તેમણે મારા પર ભરોસો રાખ્યો છે અને મને ખરીદવાનો વિશ્વાસ પણ બતાવ્યો છે. ખરું કહું તો તેમણે મને મારી ગેમની ક્ષમતા પર ભરોસો કરતા શીખવાડ્યું છે. હા, ક્યારેક સીઝનમાં સારું પર્ફોર્મ નથી કરી શકાતું, પણ મને ખબર છે કે હું મારી સ્કિલ પર કામ કરીશ તો જરૂરથી સારું પર્ફોર્મ કરી શકીશ. આશા રાખું છું કે તેમણે મારા પર જે ભરોસો રાખ્યો છે એના પર હું ખરો ઊતરી શકું.’
લાલ બૉલ સાથે મારી બોલિંગ હું ઘણી એન્જૉય કરું છું. પહેલી ટેસ્ટ મૅચ પછી મને તક નથી મળી, પણ ટેસ્ટ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાની મારી ઇચ્છા છે. જોકે ટીમમાં સ્થાન મેળવવા માટેની કૉમ્પિટિશન ઘણી અઘરી છે તેમ છતાં હું મારાથી બનતા પૂરતા પ્રયત્નો કરું છું.