01 July, 2020 03:02 PM IST | New Delhi | Agencies
વિરાટ કોહલી
ઈન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે ભૂતકાળની કેટલીક યાદોને વાગોળી હતી, જેમાં તેણે ૨૦૧૪માં રમાયેલી ઍડીલેડ ટેસ્ટને ભારત માટે એક મહત્વનો માઇલસ્ટોન ગણાવી હતી. એ ગેમને યાદ કરતાં કોહલીએ કહ્યું કે ‘ભારતીય ટેસ્ટ ટીમ આજે જ્યાં પહોંચી છે ત્યાં પહોંચાડવા માટે ઍડીલેડ ટેસ્ટ ઘણી મહત્વની ભૂમિકા ભજવી ચૂકી છે. ૨૦૧૪માં રમાયેલી ઍડીલેડ ટેસ્ટ બન્ને ટીમ માટે ઘણી ઇમોશનલ અને રોચક રહી હતી અને સાથે-સાથે દર્શકોને પણ એ મૅચ જોવાની મજા પડી હતી. જોકે એમ છતાં અમે મર્યાદા નહોતી ઓળંગી અને એ ગેમ ઘણી અઘરી રહી હતી. અમે સૌકોઈ પોતપોતાના લક્ષ્ય પ્રત્યે કમિટેડ હતા અને કોઈ પણ કપરી પરિસ્થિતિમાં એને હાંસલ કરવા માટે મહેનત કરવા તૈયાર હતા. ટેસ્ટ ક્રિકેટમાં અમારા માટે એ સૌથી મહત્ત્વનો માઇલસ્ટોન હતો.’
એ ટેસ્ટ મૅચ અને ટેસ્ટ સિરીઝ ઇન્ડિયા હારી ગયું હતું. ૨૦૧૮-’૧૯માં પછીથી ભારતે ઑસ્ટ્રેલિયાને એની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં પછડાટ આપી હતી.