08 July, 2026 02:43 PM IST | Indore | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ઈન્દોર-મહૂ ડેમુ ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અહીંના રાઉના રંગવાસા રોડ પાસે ટ્રેન થોડી મિનિટો માટે રોકાયેલી જોવા મળી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ, રેલવેએ આ મામલાની તપાસ શરૂ કરી છે.
સ્થાનિક લોકોનો દાવો છે કે ઈન્દોર-મહૂ ડેમુ ટ્રેન વારંવાર આ સ્થાન પર ઉભી રહે છે. તેમનો આરોપ છે કે લોકો પાયલોટ નજીકની દુકાનમાંથી સમોસા ખરીદવા માટે ટ્રેનમાંથી ઉતરે છે. લોકો કહે છે કે ટ્રેન સમોસા ખરીદવા માટે ઊભી રાખતા તેના સમયપત્રકમાં લગભગ 10 મિનિટનો વિલંબ થાય છે. મંગળવારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. ત્યારબાદ, રેલવે અધિકારીઓએ આ બાબતની નોંધ લીધી અને તપાસનો આદેશ આપ્યો.
રતલામ ડિવિઝનના જનસંપર્ક અધિકારી (PRO) મુકેશ કુમારે જણાવ્યું કે આ વીડિયો વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું, "જો તપાસમાં પુષ્ટિ થાય કે ટ્રેન કોઈપણ ઑપરેશનલ જરૂરિયાત કે અધિકૃતતા વિના રોકવામાં આવી હતી અને લોકો પાયલોટ વ્યક્તિગત કારણોસર કૅબિન છોડીને ગયો હતો, તો રેલવેના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે." તેમણે આગળ એક પણ કહ્યું કે "અમને સોશિયલ મીડિયાના માધ્યમથી આ વીડિયોની જાણ થઈ છે. વીડિયો સોશિયલ મીડિયા પર હોવાને કારણે અમે તેની સત્યતાની સંપૂર્ણ પુષ્ટિ કરી શકતા નથી. જોકે, આ વીડિયો અમારા જ ડિવિઝનનો હોવાનું લાગી રહ્યું છે, તેથી અમે આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, વીડિયોમાં દેખાતી ટ્રેન માલગાડી જેવી લાગી રહી છે અને હાલમાં તે ચોક્કસ કઈ જગ્યાની ઘટના છે, ટ્રેન કઈ છે અને ડ્રાઇવર કોણ છે તેની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તપાસના અહેવાલ બાદ નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રેલવે અધિકારીઓ નક્કી કરશે કે ટ્રેન ટૅકનિકલ કે ઑપરેશનલ કારણોસર બંધ પડી હતી કે વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા આરોપો સાચા છે. તપાસ પૂર્ણ થયા પછી રેલવે આગળની કાર્યવાહી કરશે.
રેલવેના પ્રવાસીઓ સાથે ઈ-કેટરિંગના નામે થતી છેતરપિંડી રોકવા માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) દ્વારા એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેશભરમાં ટ્રેનમાં ફૂડ-ડિલિવરી કરતી ૧૫ બનાવટી વેબસાઇટ્સ સામે IRCTCએ કાર્યવાહી શરૂ કરી છે. આ બોગસ પોર્ટલ્સનો ભોગ બનનારાઓમાં સૌથી વધુ સંખ્યા મુંબઈના પ્રવાસીઓની હોવાનું સામે આવ્યું છે. IRCTCની ઈ-કેટરિંગ સર્વિસ ૪૦૦થી વધુ રેલવે-સ્ટેશનોએ ઉપલબ્ધ છે અને દરરોજ સરેરાશ ૧.૫૫ લાખથી વધુ ફૂડ-બુકિંગનું મૅનેજમેન્ટ કરે છે જેમાં સૌથી વધુ ફરિયાદ મુંબઈથી મળતી હોવાનું રેલવેએ જણાવ્યું છે. દર મહિને મુંબઈમાંથી આશરે ૪૦૦ જેટલી ફરિયાદ મળે છે જેમાં પ્રવાસીઓએ ઑર્ડર આપ્યા છતાં ભોજન ન મળવું, હલકી ગુણવત્તા અને રીફન્ડ ન મળવા જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ મામલે રેલવેએ ગેરકાયદે વેબસાઇટ્સને ફેબ્રુઆરીમાં લીગલ નોટિસ ફટકાર્યા બાદ માર્ચ-એપ્રિલમાં ફરિયાદ દાખલ કરી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે ‘આ ગેરકાયદે વેબસાઇટ્સ પ્રવાસીઓના પૅસેન્જર નેમ રેકૉર્ડ (PNR) નંબર, મોબાઇલ-નંબર અને પેમેન્ટની વિગતો જેવા સંવેદનશીલ ડેટા ભેગા કરે છે જે ઑનલાઇન ફ્રૉડ અને સાઇબર ગુનાઓનું જોખમ વધારે છે. સાથોસાથ આ ભોજન FSSAIના નિયમોનું પાલન ન કરતા કિચનમાં બનીને આવતું હોવાથી સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે.