03 February, 2026 10:53 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
જિતેન્દ્ર યાદવ અને પત્ની
ઉત્તર પ્રદેશના બરેલીમાં લગ્નના જસ્ટ બે જ મહિના પછી પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી દીધી. પતિના મૃત્યુને પહેલાં તો આત્મહત્યા હોવાનું કહેવામાં આવ્યું, પરંતુ પોસ્ટમૉર્ટમમાં ખબર પડી કે પતિનું મૃત્યુ ગળું દબાવવાથી થયું છે. વાત એમ છે કે જિતેન્દ્ર યાદવ નામના યુવકનાં લગ્ન ગયા વર્ષે ૨૫ નવેમ્બરે થયાં હતાં. ૨૬ જાન્યુઆરીએ તેનું શબ રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. પોલીસ પહોંચી ત્યારે જિતેન્દ્રનું શબ મફલરના સહારે લટકેલું મળ્યું હતું. ગળું દબાવીને હત્યા થઈ હોવાનો રિપોર્ટ મળતાં પોલીસે પત્ની અને પરિવારજનો સાથે કડક પૂછપરછ કરી. જિતેન્દ્રના પરિવારજનોનું કહેવું હતું કે તેમનો દીકરા પત્ની જ્યોતિ સાથે ૯ વર્ષથી પ્રેમમાં હતો. તેમનાં બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં અને લગ્ન પછી તરત જ જ્યોતિ જિતેન્દ્ર પર દબાણ કરી રહી કે તે પિતાની સંપત્તિ વેચી નાખે અને શહેરમાં તેનાના નામે મકાન અને કાર ખરીદે. જો એમ નહીં કરે તો દહેજ માગવાના અને ડોમેસ્ટિક વાયલન્સના કેસમાં આખા પરિવારને ફસાવી દેવાની તે ધમકી આપતી હતી. પોલીસે જ્યોતિનો મોબાઇલ તપાસ્યો ત્યારે ખબર પડી કે જે સમયે જિતેન્દ્રનું મૃત્યુ થયું એ પછી તરત જ્યોતિ પિયરિયાંઓ સાથે વાતચીત કરી રહી હતી. પોલીસને શંકા છે કે પતિને માર્યા પછી તેને આત્મહત્યાનું સ્વરૂપ આપવામાં તેના પિયરિયાંઓ જ મદદ કરી હોવી જોઈએ.