06 September, 2025 03:54 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બળેલી બ્રેડ અને ઢોસાના બૅટરમાંથી તવા પર ઊપસાવી ગજાનનની આકૃતિ
ગણેશોત્સવ જ્યારથી શરૂ થયો છે ત્યારથી સોશ્યલ મીડિયા પર ગજાનનનાં વિવિધ સ્વરૂપો જોવા મળી રહ્યાં છે. જોકે શિન્તુ મૌર્ય નામના એક આર્ટિસ્ટે બાપ્પા પ્રત્યેના પ્રેમ અને ભક્તિમાં તેની કલાની અનોખી સુગંધ ભેળવી છે. આમેય તે પોતાના અકાઉન્ટમાં શિવજી, ગણેશજી અને અન્ય સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનાં ડ્રૉઇંગ કે ક્રાફ્ટ બનાવતો હોય છે. જોકે ગણેશોત્સવ દરમ્યાન તેની ક્રીએટિવિટી જબરી ખીલી છે. તેણે ગણપતિનું પોર્ટ્રેટ બળેલી બ્રેડની મોઝેઇક આર્ટથી તૈયાર કર્યું છે.
એમાં બ્રેડની સ્લાઇસને ચોક્કસ રીતે અને ચોક્કસ જગ્યાએથી બાળી છે અને પછી એને એવી રીતે ગોઠવી છે જેનાથી ગણેશજીની આકૃતિ ઊપસે છે. બીજી એક વિડિયો-ક્લિપમાં શિન્તુભાઈ ઢોસા માટેના બૅટરમાંથી નૉન-સ્ટિક તવા પર ગજાનન બનાવે છે. આંગળીથી જ તેણે ઢોસાના બૅટરમાંથી તવા પર ગણેશની મૂર્તિ બનાવી છે જે સુકાઈ ગયા પછી આખેઆખી નીકળી શકે છે.