પાંચ વર્ષથી પાણીમાં જ પડ્યો રહે છે આ ટીનેજર, બહાર આવતાં જ તેને શરીરે બળતરા થવા લાગે છે

10 August, 2026 05:39 PM IST  |  Murshidabad | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળના ૧૬ વર્ષના ઇકબાલ શેખને પાણીમાંથી બહાર આવતાં શરીરમાં અસહ્ય બળતરા થાય છે. રાહત માટે તે કલાકો અને ક્યારેક સતત ચાર-પાંચ દિવસ સુધી તળાવમાં રહે છે.

પાંચ વર્ષથી પાણીમાં રહે છે આ ટીનેજર, બહાર આવતાં જ થાય છે બળતરા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં રહેતો ૧૬ વર્ષનો ઇકબાલ શેખ પાંચ વર્ષથી એક રહસ્યમય બીમારી સામે ઝૂઝી રહ્યો છે. તેનો દાવો છે કે તે પાણીમાંથી બહાર આવે છે તો તેને શરીરમાં અસહ્ય બળતરા થવા લાગે છે એટલે તે કેટલાય દિવસો તળાવમાં પડ્યો-પાથર્યો રહે છે. સતત પાણીમાં રહેવાને કારણે તેના શરીરની ત્વચા પણ ગળવા લાગી છે અને તેને વારંવાર ખાંસી અને શરદી થઈ જાય છે. ઇકબાલની ત્વચા ખૂબ ઝડપથી બળવા લાગે છે. પાણીમાં રહેવાથી જ તેની બળતરા શાંત થાય છે. ક્યારેક તો તે લગાતાર ચાર-પાંચ દિવસ સુધી પાણીમાં જ તરતો રહે છે. દિવસ-રાત પાણીમાં ડૂબેલા રહેવાને કારણે તેના 
હાથ-પગની ત્વચા સફેદ થઈને ગળવા લાગી છે. તેના પરિવારજનો તળાવના કિનારે બેસીને તેને ખાવાનું આપે છે. છોકરો પાણીમાં પડ્યે-પડ્યે જ બિસ્કિટ અને પૌંઆ જેવું ખાવાનું ખાઈ લે છે. પરિવાર ગરીબ હોવાથી આ સમસ્યા માટે તેને મોટી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ શકાય એવી સ્થિતિ નથી. ગામના સ્થાનિક સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રના ડૉક્ટરોએ તેને મોટા દવાખાને જઈને વધુ પરીક્ષણો દ્વારા યોગ્ય નિદાન કરાવવાની સલાહ આપી છે. ગામના લોકો સવાર-સાંજ તેને તળાવમાં તરતો જોવા આવી જાય છે. જેમ પાણીમાં કોઈ પ્રાણી કે પંખીને ખાવાનું નાખતા હોય એમ આ છોકરા તરફ પણ લોકો ખાવાનું ફેંકે છે. 

west bengal news offbeat news hatke news india