30 July, 2026 05:14 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મંદિરમાં ચોરી કરીને પછી માનતા રાખી, ‘જો ચોરી પકડાશે નહીં તો ૧૦,૦૦૦ રૂપિયાનો ચડાવો કરીશું’
ચોરી કરતી વખતે ચોરના મનમાં પકડાઈ જવાનો ડર તો હોય જ છે. એમ છતાં ચોરી કરવાની ફિતરત જતી નથી એટલે ચોરીના પાપમાંથી બચાવવા માટે પણ તેઓ ભગવાનની જ માનતા રાખે છે. તાજેતરમાં અમદાવાદ જિલ્લામાં સાણંદ બાયપાસ રોડ પર આવેલા ઊમિયા ધામ મંદિરમાં ૧૭ જુલાઈએ ચાંદીનાં છત્તર અને મૂર્તિઓની ચોરી થઈ હતી. સાણંદ પોલીસે જૂની ચોરીઓમાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી હતી. એમાં તેઓ લક્ષ્મણ હીરાજી અને કિશન હીરાજી નામના બે ભાઈઓ સુધી પહોંચ્યા હતા. તેમના મોબાઇલને ફંફોસતાં આખીયે ચોરીનો ભાંડો ફૂટી ગયો હતો. તેમના ફોનમાં આ ચોરી કઈ રીતે થઈ હતી એની આખી બ્લુ પ્રિન્ટ હતી. કુલ પાંચ જણ આ ચોરીમાં સંડોવાયેલા હતા. તેમનું બાકાયદા એક વૉટ્સઍપ ગ્રુપ બન્યું હતું. એમાં તેમણે કોણ ક્યાં ઊભું રહેશે, કોણ ચોકી કરશે, કોણ સામાન ઉઠાવશે અને કોણ ડ્રાઇવ કરીને સેફ જગ્યાએ પહોંચાડવાનું કામ કરશે એ બધું જ પ્લાનિંગ કર્યું હતું. જ્યારે આ ઘટનાના સમાચાર છાપામાં આવ્યા ત્યારે એ છાપાનું કટિંગ પણ વૉટ્સઍપ ગ્રુપમાં શૅર કર્યું હતું અને એની પાછળ બૅકગ્રાઉન્ડમાં ચોર મચાએ શોરનું મ્યુઝિક સેટ કર્યું હતું. ચોરોને લાગતું હતું કે જો ૧૦-૧૫ દિવસમાં નહીં પકડાઈએ તો બચી જઈશું. એટલે કિશન હીરાજીએ તો માનતા પણ માની હતી કે જો ૧૦ દિવસ સુધી તેમની ચોરી નહીં પકડાય તો તેઓ મંદિરમાં જઈને ૧૦,૦૦૦ રૂપિયાનો ચડાવો માતાજીને ચડાવી આવશે. નવાઈની વાત એ છે કે દસમા દિવસે તેઓ ચડાવો પણ ચડાવી આવ્યા અને બારમા દિવસે તેઓ પોલીસના હાથે ચડી ગયા.