કેસરી રંગથી રંગાયેલા શૌચાલયની લોકોએ મંદિર સમજીને એક વર્ષ સુધી પૂજા કરી

09 November, 2019 09:07 AM IST  |  Hamirpur

કેસરી રંગથી રંગાયેલા શૌચાલયની લોકોએ મંદિર સમજીને એક વર્ષ સુધી પૂજા કરી

શૌચાલય કે મંદિર

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના બની છે. આ વિસ્તારના લોકો કેસરી રંગથી રંગાયેલા એક મકાનના દરવાજાની બહાર પૂજા કરતા હતા. જોકે આ મકાન તો મંદિરને બદલે શૌચાલય નીકળ્યું હતું.
હમીરપુર જિલ્લાના મૌદહા વિસ્તારના લોકો એક વર્ષથી વધારે સમયથી એક મકાનના દરવાજાની બહાર પૂજા-અર્ચના કરી રહ્યા હતા. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ તમામ લોકોને જાણ જ નહોતી કે આ મકાનની અંદર કોઈ દેવી-દેવતા સ્થાપિત છે કે નહીં.
એક સ્થાનિક રહેવાસી રાકેશ ચંદેલે જણાવ્યું કે ‘આ મકાન સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર પરિસરમાં છે. આ મકાનને કેસરી રંગથી રંગવામાં આવ્યું છે અને એને મંદિરના આકારનું બનાવાયું છે. એને કારણે લોકો આને મંદિર સમજતા હતા. જોકે કોઈએ આ વિશે તપાસ કરવાની જહેમત નહોતી ઉઠાવી. તાજેતરમાં એક અધિકારીએ જણાવ્યું કે આ મકાન વાસ્તવમાં શૌચાલય છે.’
તેમણે વધુમાં જણાવ્યું કે ‘મકાનનો ભગવો રંગ ભ્રમનું કારણ બન્યું હતું. હવે આ શૌચાલયને ગુલાબી રંગ ચોપડવામાં આવ્યો છે. અન્ય એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ શૌચાલયનું ઉદ્ઘાટન એક વર્ષ કરતાં વધારે સમય પહેલાં થયું હતું, પરંતુ આના દરવાજા પર તાળું લાગેલું હતું.

uttar pradesh offbeat news hatke news