23 November, 2020 09:43 AM IST | Mumbai | Mumbai correspondent
૧૯૭૮માં તામિલનાડુથી ચોરાયેલી કાંસાની મૂર્તિઓ લંડનમાં મળી
૧૯૭૮માં તામિલનાડુથી ચોરાયેલી કાંસાની મૂલ્યવાન મૂર્તિઓ તાજેતરમાં લંડનમાં મળ્યા પછી ગયા શનિવારે ફરી તેના મૂળ સ્થાને પહોંચી ગઈ હતી. તામિલનાડુના નાગાપટ્ટીનમ જિલ્લાના અનંતમંગલમ ખાતે ૧૫મી સદીમાં બંધાયેલા મનાતા રાજગોપાલસ્વામી મંદિરની ભગવાન રામ-લક્ષ્મણ-સીતામાતા અને હનુમાનજીની મૂર્તિઓ ૧૯૭૮માં ચોરાઈ હતી. એ ચોરી માટે પોલીસે ત્રણ જણ સામે ગુનો નોંધ્યો હતો, પરંતુ મૂર્તિનો પત્તો લાગ્યો નહોતો. મૂર્તિઓની શોધખોળ ચાલતી હતી. કલાકૃતિઓના આંતરરાષ્ટ્રીય વેપાર અને આદાનપ્રદાનની નોંધ અને નિગરાનીના કાર્યમાં પ્રવૃત્ત સિંગાપોરના સ્વૈચ્છિક સંગઠને ચોરાયેલી મૂર્તિઓમાંથી ત્રણ મૂર્તિઓ લંડનના કલાકૃતિઓના સંગ્રહના શોખીન ઍન્ટિક કલેક્ટર પાસે હોવાનું ભારતના સત્તાવાળાઓને જણાવ્યું હતું. ગયા સપ્ટેમ્બરમાં રામ-લક્ષ્મણ-સીતાની મૂર્તિઓ લંડનની મેટ્રોપૉલિટન પોલીસે હસ્તગત કરી હતી. એ મૂર્તિઓ સરકારી વિધિઓ અને ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ ગયા શનિવારે તેમના મૂળ પ્રાચીન રાજગોપાલસ્વામી મંદિરમાં ફરી સ્થાપિત કરવામાં આવી હતી.