21 October, 2019 08:47 AM IST | છત્તીસગઢ
મહિલાઓએ કર્યા મૃતકના અંતિમ સંસ્કાર
છત્તીસગઢના કાંકેર વિસ્તારના તુમસનાર ગામમાં અંધવિશ્વાસને કારણે અતિવિચિત્ર પરિસ્થિતિ પેદા થઈ હતી. વાત એમ હતી કે એક મહિલા પ્રસૂતિ દરમ્યાન મૃત્યુ પામી હતી. આ ગામમાં એવી માન્યતા છે કે જો પ્રસૂતાના શબને ગામમાં જ દફનાવવામાં આવે તો તે ભૂત થઈને ગામમાં ફરે છે. એને કારણે કોઈ પૂરુષ એ શબને હાથ પણ ન લગાડવા જોઈએ.
૩૨ વર્ષની સુકમોતીન કાંગે નામની મહિલાએ ૨૦૧૬માં રાજસ્થાનના યુવક સાથે લગ્ન કર્યાં હતાં. તે મા બનવાની હતી અને એ માટે પંદરમી ઑક્ટોબરે રાતે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અડધી રાતે તેણે એક બાળકને જન્મ તો આપ્યો, પરંતુ એ બાળક અડધા જ કલાકમાં મૃત્યુ પામ્યું. સંતાનને ગુમાવ્યાનો આઘાત મહિલાને એટલો લાગ્યો કે તેણે પણ બે દિવસમાં જીવ છોડી દીધો. પ્રસૂતિમાં મૃત્યુ પામી હોવાથી ગામના પુરુષોએ અંતિમ સંસ્કાર કરાવવા શબને હાથ લગાવવાની ના પાડી દીધી.
આ પણ જુઓઃ એક એવું રેસ્ટોરેન્ટ, જ્યાં ગ્રાહકોને આપવામાં આવે છે ટૉયલેટનું પાણી
આખરે ગામની મહિલાઓએ ભેગા થઈને પ્રસૂતાના શબને ખાટલામાં જ ઊંચકીને તેને ગામની બહારના જંગલમાં અંતિમ ક્રિયા માટે લઈ ગઈ. ગામલોકોની માન્યતા છે કે પ્રસૂતાને ગામમાં જ અંતિમ વિદાય આપવામાં આવે તો તે ભૂત થઈ જાત.