18 August, 2020 10:41 PM IST | Mumbai | Gujarati Mid-Day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિદેશમાં હજી ઘણા ભારતીય નાગરિકો ફસાયેલા છે જે દેશમાં પાછા આવા માગે છે. આ વાતને ધ્યાનમાં લેતા સરકાર ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર સહિતના 13 દેશો સાથે એર બબલ એગ્રિમેન્ટ કરવા માટે વાતચીત કરી રહી છે.
એર બબલ એગ્રિમેન્ટમાં બે દેશોના વિઝા ધરાવતા પ્રવાસીઓ કોઈ પણ મુશ્કેલી વિના અન્ય દેશમાં પ્રવાસ કરી શકે છે. આમાં ખાસ કરીને સરકારી એરલાઈન્સ દ્વારા મુસાફરી થતી હોય છે.
આ બાબતે વિગતવાર માહિતી આપતા નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, એર બબલ એગ્રિમેન્ટથી એક બીજાના દેશમાં અમૂક પ્રતિબંધો સાથે એરલાઈન્સ ઓપરેટ કરી શકે છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ અને ભૂતાનને પણ આ એગ્રિમેન્ટનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જ્યારે જુલાઈમાં ભારતે અમેરિકા, યુકે, ફ્રાન્સ, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને માલદીવ સાથે કરાર કર્યા હતા.
હાલમાં જે 13 દેશો સાથે વાતચિત કરવામાં આવી રહી છે તેમાં ઓસ્ટ્રેલિયા, ઈટલી, જાપાન, ન્યુઝીલૅન્ડ, નાઈજિરિયા, બહેરિન, ઈઝરાયલ, કેનિયા, ફિલિપાઈન્સ, રશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા અને થાઈલેન્ડનો સમાવેશ છે. આ સિવાય અન્ય દેશો સાથે પણ વાતચિત ચાલતી હોવાનું પુરીએ ઉમેર્યું હતું.