18 August, 2019 10:07 AM IST | નવી દિલ્હી
દેશનાં પાંચ રાજ્યો ભારે વરસાદના કારણે પૂરમાં ફસાયેલા છે. કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અત્યાર સુધીમાં કુદરતની કૅરના કારણે ૨૪૧ લોકોના જીવ ગયા છે. જેમાં સૌથી વધારે કેરળમાં ૧૧૧ જેટલા લોકો મોતને ભેટ્યાં છે. મધ્ય પ્રદેશમાં ૭૦, મહારાષ્ટ્રમાં ૫૪, રાજસ્થાનમાં પાંચ અને આંધ્ર પ્રદેશમાં એક વ્યક્તિનું મોત થયું છે. હવામાન વિભાગે રાજસ્થાન અને પંજાબમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.
દેશનાં ઘણાં રાજ્યો ભારે વરસાદના કારણે પૂરમાં ફસાયેલાં છે. ઉત્તરાખંડ સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ અને પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. પહાડી રાજ્યોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. અનેક જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં બે દિવસ સુધી ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ ચાલુ છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. શ્રીનગરના રાજબાગ વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થયું છે. આ દરમ્યાન કોઈ મોટી દુર્ઘટના નથી બની.
આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....
ઉત્તરાખંડમાં ઉત્તર કાશી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌડી અને કુમાઉના અનેક ભાગમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના બારગી બંધના ૧૫ ગેટ ખોલ્યા બાદ બારના નદીનું પાણી બેકાબૂ બન્યું છે. આ સાથે જ અનેક ગામો ટાપુમાં ફેરવાઈ ગયાં છે. ભારે વરસાદના કારણે ભોપાલ- જબલપુર માર્ગ બંધ થયો છે. રાજસ્થાનના કોટા બૈરેજથી પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે અને વરસાદના કારણે એમપીમાં ચંબલ અને પાર્વતી નદીમાં પૂર આવ્યું છે.