આતંકવાદને મૂળમાંથી ઉખાડીએ નહીં ત્યાં સુધી અમે રોકાઈશું નહીં

19 November, 2022 01:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં વડા પ્રધાને જણાવ્યું કે કેટલાક ચોક્કસ દેશો તેમની વિદેશ નીતિના ભાગરૂપે આતંકવાદને સપોર્ટ આપે છે

નવી દિલ્હીમાં ગઈ કાલે આયોજિત પ્રધાનસ્તરની ત્રીજી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.


નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે કેટલાક ચોક્કસ દેશો તેમની વિદેશ નીતિના ભાગરૂપે આતંકવાદને સપોર્ટ આપે છે. તેઓ આતંકવાદ માટે રાજકીય, વૈચારિક અને નાણાકીય સપોર્ટ આપે છે. આતંકવાદ માટે ધન એકત્ર કરવાની સમસ્યાનો સામનો કરવા માટે નવી દિલ્હીમાં આયોજિત પ્રધાનસ્તરની ત્રીજી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં વડા પ્રધાને વધુ જણાવ્યું હતું કે આતંકવાદને સપોર્ટ આપતા દેશોને સજા કરવી જોઈએ.
ભારતના પાડોશીઓનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે પ્રૉક્સી-વૉર પણ ખૂબ જ ભયજનક છે અને દુનિયાએ તમામ પ્રકારના આતંકવાદની વિરુદ્ધ એક થવાની જરૂર છે.
આ સંમેલનમાં તેમણે કહ્યું હતું કે એક આતંકવાદી હુમલો તમામ પર હુમલો છે. આતંકવાદને જ્યાં સુધી મૂળમાંથી ઉખાડીએ નહીં ત્યાં સુધી અમે રોકાઈશું નહીં. આતંકવાદ એક એવો વિષય છે જેની માનવતા પર અસર થાય છે, એની ઇકૉનૉમી પર પણ અસર થાય છે.
કડક કાર્યવાહીની માગણી કરતાં તેમણે કહ્યું હતું કે તમામ આતંકવાદી હુમલાઓની સામે એકસરખો રોષ પ્રગટ થવો જોઈએ અને એકસરખી કાર્યવાહી થવી જોઈએ. આપણે આતંકવાદીઓને પકડી પાડીને તેમના સપોર્ટ નેટવર્ક્સને તોડી પાડવા જોઈએ અને તેમની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવી જોઈએ.
આ કૉન્ફરન્સમાં ૭૮ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના ૪૫૦ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી 
સુરક્ષા પરિષદમાં સુધારા બાબતે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની બેઠક દરમ્યાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પર્મનન્ટ મિશનમાં કાઉન્સેલર પ્રતીક માથુરે જણાવ્યું હતું કે જૂઠાણાં ફેલાવવા માટેના પાકિસ્તાનના હતાશાથી ભરપૂર પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય મંચોના દુરુપયોગની એની ખરાબ આદત આંતરરાષ્ટ્રીય સમુદાયના સામૂહિક તિરસ્કારને પાત્ર છે.

national news narendra modi