વિશાખાપટ્ટનમ: કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ

08 May, 2020 10:26 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Online Correspondent

વિશાખાપટ્ટનમ: કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ

તસવીર સૌજન્ય: પી.ટી.આઈ

૧૯૮૪ની ભોપાલ ગૅસકાંડની યાદ અપાવે એવી એક ભયાનક દુર્ઘટનામાં આંધ્ર પ્રદેશના  વિશાખાપટ્ટનમના આર. આર. વેંકટપુરમ ગામમાં ગઈ કાલે થઈ હતી. ઝેરી ગૅસની માત્રા એટલી ખતરનાક હતી કે અંદાજે ૨૦૦૦ લોકો આ ઝેરી ગૅસથી બીમાર પડી ગયાની માહિતિ છે. 300થી વધુ લોકો હોસ્પિટલોમાં દાખલ છે. 20 લોકો વેન્ટિલેટર સપોર્ટ પર છે. પ્લાન્ટની ફરતે 5 કિ.મી.ની હદમાં આવતાં 5000 હજાર લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, શરીર પર ચકામા અને ઊબકા આવવા જેવી તકલીફો છે. કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ થયો હતો પણ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું હતું.

આ પણ વાંચો: વિશાખાપટ્ટનમ: કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી બે બાળક સહિત દસના મોત

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમ જઈને કિંગ જ્યોર્જ હૉસ્પિટલમાં દાખલ પીડિતોની મુલાકાત લીધી હતી. તેમણે પીડિતોને મળ્યા બાદ દુર્ઘટનાના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને એક-એક કરોડની સહાય આપવાનું એલાન કર્યું હતું તેમ જ દુર્ઘટનામાં ગંભીર રીતે અસર થયેલા લોકોને ૧૦-૧૦ લાખ રૂપિયાની સહાય અને હૉસ્પિટલમાં સારવાર લઈને પરત ફરનારા દરદીઓને એક-એક લાખની સહાયનું એલાન કર્યું હતું. તેમણે તપાસ માટે પાંચ સભ્યોની કમિટી પણ બનાવવાનું એલાન કર્યું છે.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના વેંકટપુરમ ગામમાં ગુરુવારે સવારે લગભગ ૩ વાગ્યે કેમિકલ ફૅક્ટરીમાંથી ગૅસ લિક થવાથી બે બાળકો સહિત 11 જણના મોત થયા છે. આ ગૅસ મલ્ટિનૅશનલ કંપની એલજી પોલિમર્સ ઇન્ડસ્ટ્રીના પ્લાન્ટમાંથી લીક થયો હતો. આ ગેસ લીક કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરાઈ છે. કેન્દ્ર સરકારે કહ્યું કે એક હજાર જેટલા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. ત્રણ કિલોમીટરના વિસ્તારમાં રહેતા 200-250 પરિવારના 500થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા.

દુર્ઘટના બાદ રસ્તા પરનું દ્રશ્ય પણ બહુ ભયાનક હતું. માણસોની સાથે સાથે હજારો પશુ-પક્ષી અને ઝાડ પણ રસ્તા પર નિર્જીવ અવસ્થામાં પડયા હતા. ગેસની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં વૃક્ષો-છોડ પણ સૂકાઇ ગયાં.

વિશાખાપટ્ટનમની દુર્ઘટનાએ 1984ના ભોપાલ ગૅસકાંડના દ્રશ્યો તાજા કરી દીધા હતા.

andhra pradesh visakhapatnam national news