09 August, 2020 05:24 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહ હવે કોરોના મુક્ત થયા છે. એમનો કોરોના વાઈરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીજેપી સાંસદ મનોજ તિવારીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. બે ઑગસ્ટે એમનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો, એના બાદ એમને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. આશા છે કે ટૂંક સમયમાં એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
તેમની તબિયત બરાબર હતી પરંતુ સાવચેતી રૂપે તેમને ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં એઈમ્સની એક ટીમ તેમની દેખરેખ કરી રહી હતી. તે હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. હોસ્પિટલમાંથી પણ તેઓ કોરોના વિરૂદ્ધની લડતમાં સક્રિય છે અને દરેક સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
ગૃહ પ્રધાન અમિત શાહે પોતે ટ્વીટ કરીને આ ચેપ અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે શરૂઆતના લક્ષણ જોવા મળ્યા બાદ ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. તેમણે લોકોને અપીલ કરી હતી કે એમના સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતે ક્વૉરન્ટાઈન કરી લે અને તપાસ કરાવે. બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ પોતે ક્વૉરન્ટાઈન થઈ ગયા હતા. તેઓ છેલ્લે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના મંત્રીમંડળની બેઠકમાં જોવા મળ્યા હતા. જો કે, ત્યાં સામાજિક અંતરની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી.