24 May, 2022 03:18 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
યુએન દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાણેજ અલીશાહ પારકરે ખુલાસો કર્યો છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ ડોન પાકિસ્તાનના કરાચીમાં છે અને તેનો પરિવાર તહેવારોના પ્રસંગો દરમિયાન દાઉદની પત્ની સાથે સંપર્કમાં રહે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને આપેલા નિવેદનમાં અંડરવર્લ્ડ ડોનનો ભાણેજ અલીશાહ પારકરે ખુલાસો કર્યો છે કે દાઉદ કરાચી, પાકિસ્તાનમાં રહે છે અને તે તેના જન્મ પહેલાં 1986માં જ ભારત છોડી ગયો હતો.
અલીશાહ પારકરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે “દાઉદ ઈબ્રાહીમ મારા મામા છે અને 1986 સુધી ડમ્બરવાલા ભવનના ચોથા માળે રહેતો હતો. મેં વિવિધ સ્ત્રોત અને સંબંધીઓ પાસેથી સાંભળ્યું છે કે દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનના કરાચીમાં છે. મારે કહેવું છે કે દાઉદ મારા મામા ઈબ્રાહિમ કરાચી, પાકિસ્તાનમાં છે.”
અલીશાહે કહ્યું “તેમણે ભારત છોડ્યું ત્યારે મારો જન્મ પણ નહોતો થયો અને હું કે મારા પરિવારના સભ્યો તેમના સંપર્કમાં નથી. મારે એ પણ ઉલ્લેખ કરવો છે કે ક્યારેક ઈદ, દિવાળી અને અન્ય તહેવારોના અવસર પર મારા મામા દાઉદ ઈબ્રાહિમની પત્ની મહેજબીન દાઉદ ઈબ્રાહિમ મારી પત્ની આયેશા અને મારી બહેનો સાથે સંપર્કમાં રહે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અલીશાહ પારકરની ઘણી વખત પૂછપરછ કરી છે. અગાઉ ફેબ્રુઆરીમાં દાઉદ ઈબ્રાહિમના ભાણેજની મુંબઈના રાજકારણી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી હતી.