ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલનો રિપોર્ટ : ભ્રષ્ટ-આચાર ભારતમાં યથાવત

24 January, 2020 07:48 AM IST  |  New Delhi

ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલનો રિપોર્ટ : ભ્રષ્ટ-આચાર ભારતમાં યથાવત

પ્રતીકાત્મક તસવીર

ભ્રષ્ટાચાર માત્ર ભારત જ નહીં, પ્રત્યેક દેશની સમસ્યા છે. વધતે ઓછે અંશે ભ્રષ્ટાચાર દરેક દેશમાં થતો જ હોય છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલ સંસ્થા દ્વારા વૈશ્વિક સ્તરે ભ્રષ્ટાચારનું દૂષણ કયા દેશમાં કેટલી હદે વ્યાપ્ત છે એનો સર્વે કરાયો હતો, જેમાં ભારતે ૨૦૧૮ના સ્તરે એટલે કે ૭૮મો ક્રમાંક જાળવી રાખ્યો છે.

ગ્લોબલ કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ ૨૦૧૯માં ભારતના રૅન્કિંગ્સમાં કોઈ સુધારો થયો નથી. એ ૨૦૧૮ની જેમ જ ૭૮મા ક્રમાંકે યથાવત્ છે. નિષ્પક્ષ રીતે વૈશ્વિક સ્તરે ભ્રષ્ટાચારનું વિશ્લેષણ કરનાર સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલ દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વે પ્રમાણે ભારતનો ઇન્ડેક્સમાં કુલ સ્કોર ૪૧ રહ્યો અને એ ૭૮મા સ્થાને છે. ૨૦૧૭માં ઇન્ડેક્સમાં ૪૦ પૉઇન્ટ સાથે ૮૧મા સ્થાન પર હતું. આ પહેલાં ૨૦૧૬માં ભારત આ ઇન્ડેક્સમાં ૭૯મા સ્થાને હતું.

આ વખતે રસપ્રદ વાત એ રહી કે ભારત સાથે ચીન, ઘાના, બેનિન અને મોરોક્કો પણ ૭૮મા રૅન્ક પર છે. પાડોશી દેશ પાકિસ્તાનના રૅન્કિંગ્સ ૧૨૦ રહી. એ વધારે ભ્રષ્ટાચાર દર્શાવે છે. આ ઇન્ડેક્સમાં સાર્વજનિક ક્ષેત્રના ભ્રષ્ટાચારના મામલાઓમાં ૧૮૦ દેશોને રાખવામાં આવ્યા છે. ઇન્ડેક્સ ૦થી ૧૦૦ના પૉઇન્ટનો ઉપયોગ કરે છે જેમાં ૦ સૌથી વધારે ભ્રષ્ટાચાર દર્શાવે છે, જ્યારે નંબર ૧૦૦ ખૂબ જ ભ્રષ્ટાચારમુક્ત દર્શાવે છે.

ગ્લોબલ કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ પ્રમાણે બે તૃતીયાંશ દેશોનો સ્કોર ૫૦થી ઓછો છે અને ઍવરેજ સ્કોર ૪૩ છે. ૨૦૧૨થી લઈને અત્યાર સુધી ૨૨ દેશોએ પોતાનો સ્કોર સુધાર્યો છે. એમાં એસ્ટોનિયા, ગ્રીસ અને ગયાના સામેલ છે. ૨૧ દેશોના સ્કોરમાં પછડાટ જોવા મળી જેમાં ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને નિકારાગુઆ સામેલ છે. જી-૭ દેશોના ચાર દેશોના સ્કોરમાં ઘટાડો નોંધાયો હતો એમાં કૅનેડા, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા સામેલ છે. જર્મની અને જપાનના સ્કોરમાં કોઈ સુધારો નથી થયો. ઇટલીના સ્કોરમાં એક આંકડાનો સુધારો નોંધાયો છે.

new delhi national news