મણિપુરમાં બે દિવસથી કોઈ હિંસા નથી થઈ, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

09 May, 2023 12:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હિંસા દરમ્યાન વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે તમામ આવશ્યક પગલાં ભરવા કોર્ટની તાકીદ

મણિપુરમાં સીઆરપીએફની ૫૫ અને સેનાની ૧૦૦થી વધુ ટુકડીને તહેનાત કરવામાં આવી છે.

કેન્દ્ર અને મણિપુર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે મણિપુરમાં પરિસ્થિતિ થાળે પડી રહી છે. છેલ્લા બે દિવસથી કોઈ અપ્રિય ઘટના નથી બની. કરફ્યુમાં ધીરે-ધીરે ઢીલ અપાઈ રહી છે. સીઆરપીએફની ૫૫ અને સેનાની ૧૦૦થી વધુ ટુકડીને તહેનાત કરવામાં આવી છે. કેન્દ્ર અને મણિપુર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ મણિપુરમાં સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ઉઠાવવામાં આવેલાં પગલાં વિશે માહિતી આપી હતી. 

સુપ્રીમ કોર્ટે મણિપુરમાં હિંસા દરમ્યાન વિસ્થાપિત થયેલા લોકોના પુનર્વસન માટે તમામ આવશ્યક પગલાં લેવાનો આદેશ આપ્યો છે. એ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાહત શિબિરમાં યોગ્ય વ્યવસ્થા રાખવા અને લોકોને જીવનજરૂરી સુવિધા પૂરી પાડવા કહ્યું છે. આ બધા માનવીય મુદ્દા છે એથી રાહત શિબિરોમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવે.

national news new delhi supreme court manipur