21 August, 2026 12:24 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં થયેલ વિદ્યાર્થી-આંદોલન
દિલ્હીમાં થયેલા વિદ્યાર્થી-આંદોલન દરમ્યાન થયેલી હિંસા અને પોલીસ-અત્યાચારની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીના વડપણ હેઠળ હાઈ પાવર્ડ કમિટી (HPC)ની રચના કરી છે.
આ કમિટીમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રવિ શંકર ઝા, ભૂતપૂર્વ જજ શલિન્દર કૌર, ભૂતપૂર્વ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ચીફ રિશી કુમાર શુક્લા અને ભૂતપૂર્વ DGP એલ. આર. બિશ્નોઈનો સમાવેશ થાય છે. ગત ૨૦ જુલાઈએ સંસદકૂચ દરમ્યાન વ્યાપક હિંસા ફાટી નીકળી હતી જેમાં લાઠીચાર્જ અને ટિયર ગેસનો ભારે ઉપયોગ કરાયો હતો.
આ પૅનલ પ્રદર્શનકારીઓ દ્વારા થયેલી હિંસા, પોલીસ દ્વારા થયેલા બળપ્રયોગની મર્યાદા અને મહિલા પ્રદર્શનકારીઓ સાથેની છેડતીના તમામ આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ માત્ર એક વખતની નથી, કમિટી સમયાંતરે પોતાના વચગાળાના અહેવાલો કોર્ટને સોંપશે. આ ઉપરાંત ઘાયલ થયેલા પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓને વચગાળાનું વળતર આપવા બાબતે પણ સઘન સમીક્ષા કરાશે. કમિટી પોલીસકર્મીઓની ઓળખ અને યુનિફૉર્મની પણ યોગ્ય તપાસ કરશે.