12 February, 2025 08:56 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
કાખમાં બાળક સાથે અંગારા પર શ્રદ્ધાની ચાલ
મકરસંક્રાન્તિ પછીની પહેલી પૂર્ણિમાએ તામિલનાડુમાં થાઇપુસમ નામનો ફેસ્ટિવલ ઊજવાય છે. થાઈ એટલે તામિલ અને પુસ્સમ એટલે પૂર્ણિમા. આ ઉત્સવમાં ભક્તિ અને સમર્પણની ચરમસીમા જોવા મળે છે. આ ઉત્સવના કેન્દ્રસ્થાને ભગવાન મુરુગન એટલે કે શિવપુત્ર કાર્તિકેયન છે. તારકાસુર નામના રાક્ષસના વધ માટે માતા પાર્વતી તરફથી મુરુગનને ખાસ શસ્ત્ર આ દિવસે મળે છે. કાર્તિકેયન એ શસ્ત્રથી અસુરનો વધ કરીને પૃથ્વીને તેના કાળા કેરમાંથી મુક્ત કરે છે. માત્ર તામિલનાડુ જ નહીં; મલેશિયા, સિંગાપોર, મ્યાનમાર, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પણ જ્યાં ભગવાન મુરુગનનું મંદિર છે ત્યાં ધામધૂમથી ઊજવાય છે. તામિલનાડુમાં ખાસ કરીને આ ઉત્સવમાં લોકો પોતાના શરીરને પીડા આપે છે. કહેવાય છે કે લૉર્ડ મુરુગનમાં શ્રદ્ધા હોય તો અંગારા કે તીર જેવા સોયા શરીરમાં ભોંકાય એની પણ પીડા નથી થતી.
આ દિવસોમાં લોકો પ્રભુને રીઝવવા માટે માનતા માને છે અને એ મનોકામના પૂર્ણ થતાં જે માનતા લીધેલી એ મુજબ અંગારા પર ચાલવું, પીઠ કે મોઢામાં સોયા ભોંકવા, પીઠ પરની ચામડીમાં સોય ખૂંપાવીને એના પર કળશ ઉપાડીને ઘરથી મંદિર સુધી જવું જેવા જાતજાતના સ્ટન્ટ્સ અહીં થાઇપુસમ દરમ્યાન જોવા મળે છે.