15 October, 2021 09:58 AM IST | Panaji | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગઈ કાલે કહ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીરમાં દખલગીરી કરવાની ભૂલ ન કરવી જોઈએ. તેઓ તેમની મર્યાદામાં રહે. જો પાડોશી દેશ એની હદો પાર કરશે તો ભારત બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં પાછું નહીં હટે.
અમિત શાહે દક્ષિણ ગોવાના ધારબંધોરા ખાતે નૅશનલ યુનિવર્સિટી ઑફ ફૉરેન્સિક સાયન્સિસનો શિલાન્યાસ કર્યો હતો. એક જનસભાને સંબોધતાં તેમણે કહ્યું કે દેશની સરહદો પર હુમલો સહન કરવામાં આવશે નહીં.
અગાઉ હુમલો પૂંછમાં થયો ત્યારે ભારતે સૌપ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને વિશ્વને બતાવ્યું હતું કે ભારતની સરહદો સાથે ચેડાં કરવાં એટલાં સરળ નથી. નરેન્દ્ર મોદી અને મનોહર પર્રિકરના નેતૃત્વમાં પહેલી વાર ભારતે પોતાની સરહદોની સુરક્ષા અને આદર સાબિત કર્યા હતા એમ તેમણે કહ્યું હતું. શાહે સભામાં પૂર્વ રક્ષાપ્રધાન અને ગોવાના મુખ્ય પ્રધાન રહેલા દિવંગત મનોહર પર્રિકરને યાદ કર્યા. તેમણે કહ્યું કે પૂરો દેશ મનોહર પર્રિકરને બે વસ્તુઓ માટે હંમેશાં યાદ કરશે. તેમણે ગોવાને ઓળખાણ આપી અને બીજું, તેમણે ત્રણેય સેનાઓને વન રૅન્ક, વન પેન્શન આપ્યું.