Sedition Law: સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર સ્ટે મૂક્યો, જાણો વિગત

11 May, 2022 02:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અરજદારો વતી દલીલ કરતી વખતે એડવોકેટ કપિલ સિબ્બલે કોર્ટ પાસે માગ કરી હતી કે રાજદ્રોહ કાયદાને તાત્કાલિક રોકવાની જરૂર છે

ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે પુનર્વિચાર ન થાય ત્યાં સુધી રાજદ્રોહ કાયદા એટલે કે 124A હેઠળ કોઈ નવો કેસ નોંધવો જોઈએ નહીં. કેન્દ્ર આ અંગે રાજ્યોને એક નિર્દેશિકા જારી કરશે. આ સાથે કોર્ટે કહ્યું છે કે પેન્ડિંગ કેસ પર યથાસ્થિતિ રાખવામાં આવે. તે જ સમયે, કોર્ટે કહ્યું છે કે જે લોકો રાજદ્રોહના આરોપમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે અને આ આરોપમાં જેલમાં છે, તેઓ યોગ્ય અદાલતોમાં જામીન માટે અરજી કરી શકે છે. હવે આ મામલે જુલાઈના ત્રીજા સપ્તાહમાં સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટમાં બુધવારે રાજદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે અમે રાજ્ય સરકારોને જારી કરવા માટેના નિર્દેશોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેમના મતે, રાજ્ય સરકારોને સ્પષ્ટ સૂચના હશે કે જિલ્લા પોલીસ કેપ્ટન એટલે કે એસપી અથવા ઉચ્ચ સ્તરના અધિકારીની મંજૂરી વિના રાજદ્રોહની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવશે નહીં. આ દલીલ સાથે સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે હાલમાં આ કાયદા પર સ્ટે ન મૂકવો જોઈએ.

સોલિસિટર જનરલે કોર્ટને એમ પણ કહ્યું કે પોલીસ અધિકારી રાજદ્રોહની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવાના સમર્થનમાં પૂરતા કારણો આપશે. તેમણે કહ્યું કે કાયદા પર પુનર્વિચાર ન થાય ત્યાં સુધી વૈકલ્પિક ઉપાય શક્ય છે.

ડેટાના મામલે સોલિસિટર જનરલે કહ્યું કે આ એક જામીનપાત્ર સેક્શન છે, હવે તમામ પેન્ડિંગ કેસોની ગંભીરતાનું વિશ્લેષણ કરવું અથવા તેનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. તો આવી સ્થિતિમાં કોર્ટ ગુનાની વ્યાખ્યા પર કેવી રીતે સ્ટે મૂકી શકે? તે યોગ્ય રહેશે નહીં.

અરજદારો વતી દલીલ કરતી વખતે એડવોકેટ કપિલ સિબ્બલે કોર્ટ પાસે માગ કરી હતી કે રાજદ્રોહ કાયદાને તાત્કાલિક રોકવાની જરૂર છે.

કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે

આ તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે “નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું સર્વોપરી છે. આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટર્ની જનરલે પણ પોતાના અભિપ્રાયમાં આ વાતની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. કોર્ટે કહ્યું કે જેમની સામે દેશદ્રોહના આરોપો ચાલી રહ્યા છે અને તે જ આરોપમાં જેલમાં છે, તેઓ યોગ્ય અદાલતોમાં જામીન માટે અરજી કરી શકે છે. કારણ કે કેન્દ્ર સરકારે આ કાયદા પર પુનર્વિચાર કરવા કહ્યું છે, કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી પુનર્વિચાર નહીં થાય ત્યાં સુધી આ કાયદા હેઠળ કોઈ કેસ ચાલશે નહીં. ઉપરાંત, પેન્ડિંગ કેસોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

તમને જણાવી દઈએ કે હાલમાં ત્રણ જજોની બેંચ રાજદ્રોહ કાયદાની કાયદેસરતા પર સુનાવણી કરી રહી છે. બેન્ચમાં ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીનો સમાવેશ છે.

આ મામલામાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે સરકારે રાજદ્રોહ કાયદા પર પુનર્વિચાર અને પુનઃતપાસ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું છે કે તે રાજદ્રોહ કાયદાની કલમ 124Aની માન્યતા પર પુનર્વિચાર કરશે. તેથી, જ્યાં સુધી તેની માન્યતાની સમીક્ષા ન થાય ત્યાં સુધી મામલાની સુનાવણી કરશો નહીં, પરંતુ કોર્ટે કેન્દ્રની આ વાતને સ્વીકારી નથી અને કાયદા પર સ્ટે આપ્યો છે.

national news supreme court