27 November, 2019 12:35 PM IST | New Delhi
અયોધ્યા કેસ
(જી.એન.એસ.) અયોધ્યા મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈ સુન્ની વકફ બોર્ડની એક બેઠક થઈ છે. બોર્ડની આ બેઠકમાં ૭ પૈકી ૬ સદસ્યોએ રિવ્યુ પિટિશન ન દાખલ કરવાની વાત કહી છે. જ્યારે એક સભ્યએ આનો વિરોધ કર્યો. આ રીતે બહુમતી સાથે નિર્ણય લેવામાં આવ્યો કે સુન્ની વકફ બોર્ડ રિવ્યુ પિટિશન દાખલ નહીં કરે. જોકે આ અંગે કોઈ વાત ન થઈ કે મસ્જિદ માટે પાંચ એકર જમીન લેવામાં આવશે કે નહીં.
મીડિયા રિપોર્ટ મુજબ સુન્ની વકફ બોર્ડના એક સભ્ય અબ્દુલ રઝાકે જણાવ્યું કે બોર્ડે રિવ્યુ પિટિશન દાખલ ન કરવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો મુજબ બોર્ડમાં અબ્દુલ રઝાક એક એવા સભ્ય હતા જેમણે અરજી દાખલ કરવાના પક્ષમાં વાત કહી હતી. પરંતુ બોર્ડે ૬-૧ના બહુમતના આધારે નિર્ણય કર્યો છે. ઉપરાંત મસ્જિદની જમીનને લઈ બેઠકમાં કોઈ ચર્ચા કરવામાં આવી નથી ત્યારે આગામી બેઠકમાં બોર્ડ આ અંગે ચર્ચા કરે એવી સંભાવના છે.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
ઉલ્લેખનીય છે કે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના રિવ્યુ પિટિશનમાં ગયા પછી હવે સુન્ની વકફ બોર્ડ બે ભાગમાં વહેંચાયું છે. એક પક્ષ ખૂલીને રિવ્યુ પિટિશન દાખલ કરવા કહી રહ્યો છે જ્યારે અન્ય પક્ષ આ મામલાને આગળ વધારવાના વિરોધમાં છે. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા વિવાદિત જમીન રામલલ્લાને આપવા આદેશ કરવામાં આવ્યો હતો.