27 January, 2020 03:48 PM IST | | Mumbai Desk
સરકારે એર ઇન્ડિયાના 100 ટકા હિસ્સેદારી વેચવાની યોજનાની જાહેરાત કરી અને ભાજપાના જ રાજ્ય સભા સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ આ વાતે પોતાનો અણગમો જાહેર કર્યો છે. તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે એયર ઇન્ડિયાની હરાજી એ રાષ્ટ્રવિરોધી સોદો છે. તેમણે તો કોર્ટનાં દરવાજા ખખડાવાની ધમકી પણ આપી છે. દેવામાં ડૂબેલી સરકારે એર ઇન્ડિયાની હરાજી કરવાની જાહેરાત કરી છે.
એર ઇન્ડિયા લાંબા સમયથી ખોટમાં છે. ખોટનાં બોજમાં એર ઇન્ડિયાની ઉડાન બહુ લાંબી ચાલે એવું લાગતું નથી ત્યારે સરકારે તેને વેચી નાખવાનો, તેનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયા પર 50,000 કરોડથી પણ વધારે રકમનું દેવું છે.
સોમાવારે નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ જાહેરાત કરી અને સુબ્રમણિયમ સ્વામી ધુંધવાઇ ગયા. તેમણે એમ પણ કહ્યું કે ઘરનું ઝવેરાત આમ વેચવા ન કઢાય. ભાજપામાં હોવા છતાં સુબ્રમણિયમ સ્વામીએ મોદી સરકારની ટિકા કરવામાં ક્યારેય સંકોચ રાખ્યો નથી. આખાબોલા સુબ્રમણિયમ સ્વામીએ એક ઇન્ટરવ્યુમાં અગાઉ મોદીને અર્થશાસ્ત્રમાં નથી સમજ પડતી એવું ય ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું.
17મી માર્ચ સુધીમાં સરકારે એર ઇન્ડિયા ખરીદવામાં રસ ધરાવનારાઓ પાસે બીડ મંગાવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એરપોર્ટ સર્વિસ કંપની AISATS માટે પણ બોલીઓ મંગાવાઇ છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા વાળી જીઓએમની બેઠકમાં આ બોલીઓ મંગાવવાનો નિર્ણય લેવાયો હતો.