રખડતા કૂતરાઓના કેસ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, કહ્યું કે…

15 August, 2025 07:10 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Stray Dog Case: સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી-NCR માં રખડતા કૂતરાઓના કેસની ફરી સુનાવણી કરી; કોર્ટે કહ્યું કે ‘અમે ઉકેલ ઇચ્છીએ છીએ, વિવાદ નહીં’

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ આજે ફરી એકવાર દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં રખડતા કૂતરાઓ સંબંધિત કેસની સુનાવણી કરી. કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણીમાં કેન્દ્ર અને અનેક એનજીઓની દલીલો સાંભળી અને ત્યારબાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો. સુપ્રીમ કોર્ટે ૧૧ ઓગસ્ટના રોજ રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને પકડવાના આદેશ પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, હસ્તક્ષેપ અરજી દાખલ કરનાર દરેક વ્યક્તિએ જવાબદારી લેવી પડશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, સમગ્ર સમસ્યા સ્થાનિક અધિકારીઓની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે છે. નિયમોનું પાલન ન થવાને કારણે સમસ્યા ખૂબ વધી ગઈ છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ દિલ્હી સરકાર (Delhi Government)ને ૮ અઠવાડિયાની અંદર દિલ્હીની શેરીઓમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આજે રખડતા કૂતરાઓ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે અમે આ મુદ્દાનો ઉકેલ ઇચ્છીએ છીએ, તેના પર કોઈ વિવાદ ન હોવો જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, કોઈ પણ પ્રાણીઓને નફરત કરતું નથી અને અમે આનો ઉકેલ પણ ઇચ્છીએ છીએ.

ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની ત્રણ સભ્યોની બેન્ચે આ કેસની સુનાવણી કરી. ન્યાયાધીશ નાથે વધુમાં કહ્યું કે, સ્થાનિક અધિકારીઓ જે કરવું જોઈએ તે કરી રહ્યા નથી. તેમણે અહીં જવાબદારી લેવી જોઈએ. હસ્તક્ષેપ નોંધાવવા આવનાર દરેક વ્યક્તિએ જવાબદારી લેવી જોઈએ.

એમસીડીના પાઠક દવેએ કહ્યું કે, ‘અમે તમારા દરેક આદેશનું પાલન કરીએ છીએ. અમે તેનું પાલન કરવા માટે અહીં છીએ.’ આના પર ન્યાયાધીશે કહ્યું કે, ‘તમારે અહીં કહેવા માટે કંઈ નથી. આ સમસ્યા ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ક્રિયતાને કારણે થઈ રહી છે.’

રખડતા કૂતરાઓના કેસ પર સુનાવણી દરમિયાન, વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ ૧૧ ઓગસ્ટના રોજ અધિકારીઓને રખડતા કૂતરાઓને આશ્રય ગૃહોમાં રાખવાના આદેશનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, કૂતરા કરડવાની ઘટના બને છે પરંતુ આ વર્ષે દિલ્હીમાં હડકવાથી એક પણ મૃત્યુ થયું નથી. અલબત્ત, કૂતરા કરડવા ખરાબ છે પરંતુ તમે આવી ભયાનક પરિસ્થિતિ ઊભી કરી શકતા નથી.

અગાઉ, ૧૧ ઓગસ્ટના રોજ ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ આર મહાદેવનની બે સભ્યોની બેન્ચે દિલ્હી-એનસીઆર અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ શક્ય તેટલી વહેલી તકે તમામ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને ઉપાડવાનું શરૂ કરે અને તેમને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવે. બેન્ચે અધિકારીઓને તાત્કાલિક આશ્રયસ્થાનો સ્થાપવા અને આઠ અઠવાડિયામાં આવા માળખાગત બાંધકામ અંગે રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, રખડતા કૂતરાઓને ફક્ત આશ્રયસ્થાનોમાં જ રાખવામાં આવશે અને તેમને શેરીઓ, વસાહતો અથવા જાહેર સ્થળોએ છોડવામાં આવશે નહીં. ૧૧ ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે ૨૮ જુલાઈના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં રખડતા કૂતરા કરડવાથી બાળકોમાં હડકવાના કેસમાં શરૂ કરાયેલા સુઓ મોટો કેસની સુનાવણી દરમિયાન અનેક નિર્દેશો જારી કર્યા હતા.

supreme court new delhi delhi news chief justice of india national news news