28 November, 2020 10:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
કોરોના વાયરસ વેક્સિન પર થઈ રહેલી પ્રગતિને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે શનિવારે થયેલી ચર્ચા અંગે સીરમ ઈન્સ્ટીટ્યુટ (Serum Institute of India)ના CEO અદર પૂનાવાલા (Adar Poonawalla)એ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. અને વડા પ્રધાનની સાથે ઈમ્પિલમેન્ટેશન પ્લાન પર થયેલી ચર્ચા અંગે જાણકારી આપી હતી.
વડાપ્રધાન મોદીએ આજે કોરોના વેક્સિન સાથે જોડાયેલાં કાર્યોની સમીક્ષા કરવા માટે ત્રણ શહેરોની મુલાકાત લઈ છેલ્લે પુણે સીરમ ઈન્સ્ટિટ્યુટની મુલાકાત લીધી હતી. સીરમ ઈન્સ્ટિટ્યુટ બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનિકાની સાથે મળીને કોરોના વેક્સિન બનાવી રહી છે.
અદાર પૂનાવાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરીને જણાવ્યું કે, કોવિશિલ્ડ (Covishield) સુરક્ષિત છે. વેક્સિન લીધા પછી હોસ્પિટલ જવાની જરૂર નથી. વેક્સિન લેનાર વ્યક્તિ સંક્રમણ નહીં ફેલાવે તેવો દાવો પણ અદર પૂનાવાલાએ કર્યો હતો. તેમજ તેમણે કહ્યું હતું કે, માત્ર વેક્સિનની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. વેક્સિનની તૈયારી અંગે વડાપ્રધાન સાથે વાત થઈ છે. આગામી બે અઠવાડિયામાં કોવીશીલ્ડને ઈમરજન્સીમાં ઉપયોગ માટે એપ્લાય કરવામાં આવશે.
આ ઉપરાંત અદર પૂનાવાલાએ કહ્યું કે, વેક્સિનની ત્રીજી ટ્રાયલ પર નજર છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ સૌથી પહેલા વેક્સિન બનાવશે તેવો દાવો પણ અદાર પૂનાવાલાએ કર્યો હતો. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, એ તો ખબર નથી કે સરકાર કેટલી વેક્સિન ખરીદશે પણ જુલાઈ 2021 સુધી 30થી 40 કરોડ ડોઝનો લક્ષ્યાંક સરકારે રાખ્યો છે. ઑક્સફોર્ડની વેક્સિન તમામ રીતે સુરક્ષિત હોવાનું અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, ભારતમાં વેક્સિન શરૂઆતમાં વિતરણ કરવામાં આવશે, પછી અમે કોવેક્સ (COVAX) દેશોમાં તેનું વિતરણ તકલામાં આવશે, જે મુખ્ય રીતે આફ્રિકામાં છે. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ તરફથી યુકે અને યુરોપીય માર્કેટમાં દવા ઉપલબ્ધ કરાવવા ઉપર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમારી પ્રાથમિકતા ભારત અને કોવેક્સ દેશ છે.