08 July, 2024 07:08 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent
જગન્નાથ પુરીની રથયાત્રામાં અંદાજે ૧૦ લાખ ભાવિકો હાજર રહ્યા હતા.
જગન્નાથ પુરીની રથયાત્રામાં ગઈ કાલે ભગવાનનો રથ ખેંચવા માટેની ખેંચતાણમાં ભાગદોડ થતાં ૪૦૦ શ્રદ્ધાળુઓ રસ્તા પર પડી જતાં ઘાયલ થયા હતા એમાંથી એક શ્રદ્ધાળુનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી ૫૦ શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર આપીને જવા દેવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથના નંદીઘોષ રથને ભક્તો ખેંચી રહ્યા હતા ત્યારે અન્ય ભક્તોએ પણ રથ ખેંચવા માટે ખેંચતાણ કરી હતી, જેને લીધે આ ઘટના બની હતી. રથયાત્રામાં ૧૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા, જ્યારે આટલા બધા ભક્તોને નિયંત્રણ કરવા માટે માત્ર ૫૪૦૦ પોલીસ જ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પહેલા ઓડિશાના વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિરમાંથી ગઈ કાલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો આરંભ થયો હતો અને એ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે ભગવાનનો રથ ખેંચ્યો હતો.
રથયાત્રા સામાન્ય રીતે એક જ દિવસની હોય છે, પણ આ વર્ષે એ બે દિવસ ચાલશે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રત્નસિંહાસનમાં બેસીને માસીના ઘરે પહોંચે છે. લાખો ભાવિકો આ રથ ખેંચે છે. જગન્નાથ મહાપ્રભુની આ યાત્રાને જોવા માટે લાખો ભાવિકો પુરી આવે છે અને ‘જય જગન્નાથ’ના નારા સાથે આ યાત્રાનો આરંભ થાય છે.