10 April, 2021 03:04 PM IST | Srinagar | Agency
GMD Logo
જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને પુલવામામાં સલામતી દળોએ એન્કાઉન્ટરમાં અન્સાર ગઝવાત-ઉલ-હિન્દના વડા ઇમ્તિયાઝ અહમદ શાહ સહિત સાત આતંકવાદીઓને ખતમ કર્યા હતા.
અે સાથે, કાશ્મીરમાં અન્સાર ગઝવાત-ઉલ-હિંદ (અેજીયુઅેચ) નામના આખા આતંકવાદી જૂથનો જ સફાયો થઈ ગયો છે, કારણકે હવે આ જૂથનું કોઈ બચ્યું નથી.
સલામતી દળોના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે શોપિયાં જિલ્લામાં સર્ચ ઑપરેશન દરમ્યાન પાંચ આતંકવાદીઓને અને પુલવામા જિલ્લાના ત્રાલમાં નૌબાગ ખાતે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. શોપિયાંમાં ગુરુવારે સાંજથી અને પુલવામાના ત્રાલમાં શુક્રવારે સવારથી સર્ચ ઑપરેશન અને એન્કાઉન્ટર ચાલતાં હતાં. ગુરુવારે મધરાતથી ચાલતી કાર્યવાહીમાં શોપિયાંની મસ્જિદમાં છુપાયેલા ઇમ્તિયાઝ અહમદ સહિત બે આતંકવાદીઓને શરણે આવવાની સૂચનાઓ વારંવાર આપવામાં આવતી હતી. એ બન્નેને જીવ બચાવવા અને મસ્જિદને નુકસાન થતું રોકવાના ઉદ્દેશથી સુરક્ષા દળોને શરણે થવા સમજાવવા માટે એક આતંકવાદીના ભાઈ અને મસ્જિદના ઇમામ સાહેબને અંદર મોકલવામાં આવ્યા હતા, પરંતુ એ પ્રયાસ નકામો સાબિત થયો હતો.