04 December, 2019 11:39 AM IST | New Delhi
ધારાશાસ્ત્રી રાજીવ ધવન
(જી.એન.એસ.) સિનિયર ધારાશાસ્ત્રી રાજીવ ધવનને અયોધ્યા કેસમાંથી જમિયતે હટાવી દીધા હતા. ધવને ફેસબુક પર પોતાના અકાઉન્ટમાં આ વિશે આઘાત અને દુઃખ વ્યક્ત કર્યાં હતાં.
અત્રે એ યાદ રહે કે જન્મે અને કર્મે હિન્દુ હોવા છતાં ધવને પૂરેપૂરી પ્રામાણિકતાથી મુસ્લિમ પક્ષ વતી સુપ્રીમ કોર્ટમાં ૪૦ દિવસ સુધી સતત રોજ ચાલેલી સુનાવણીમાં બેમિસાલ કામગીરી કરી હતી.
જમિયતે તમારી તબિયત સારી રહેતી નથી એવું બહાનું આગળ કરીને ધવનને અયોધ્યા કેસમાંથી પડતા મૂક્યા હતા. ધવને ફેસબુક પર લખ્યું હતું કે મને સુન્ની વકફ બોર્ડ વતી ધારાશાસ્ત્રી એજાઝ મકબૂલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે મને અયોધ્યા કેસમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. મારી તબિયતનું બહાનું કાઢ્યું છે. મને કાઢી મૂકવાનો તે લોકોને હક છે, પરંતુ જે કારણ આગળ કર્યું એ વાજબી નથી.
આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ
તેમણે લખ્યું હતું કે મને જણાવવામાં આવ્યું કે તમારી તબિયત સારી રહેતી નથી એટલે આ કેસમાંથી તમને મુક્ત કરવામાં આવે છે. આ વાત નર્યો બકવાસ છે. મારી તબિયત એકદમ સરસ છે, પરંતુ જે રીતે બરખાસ્ત કરવામાં આવ્યો એનાથી સ્વાભાવિક રીતે જ મને દુઃખ થયું છે.