09 December, 2025 09:04 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
હુમાયુ કબીર
તૃણમૂલ કૉન્ગ્રેસના હાંકી કાઢવામાં આવેલા વિધાનસભ્ય હુમાયુ કબીરે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક નવી બાબરી મસ્જિદના બાંધકામની શરૂઆત કરી છે અને આ મસ્જિદ બાંધવા માટે તેમને ક્વિક રિસ્પૉન્સ (QR) કોડથી ૯૩ લાખ રૂપિયાનું દાન મળ્યું છે. બીજી જે રોકડ રકમનું દાન મળ્યું છે એ ગણવા માટે ૩૦ લોકો અને મશીનો પણ કામે લાગ્યાં છે.
મુર્શિદાબાદમાં બાંધવામાં આવનારી મસ્જિદ અયોધ્યામાં તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદના આધારે બનાવવામાં આવી રહી છે. ઘણા વિવાદો અને વિરોધ છતાં હુમાયુ દાવો કરે છે કે તેમને બધા મુસ્લિમોનો ટેકો છે અને તેઓ કહી રહ્યા છે કે બધા મુસ્લિમો મસ્જિદના નિર્માણને ટેકો આપવા માટે આગળ આવી રહ્યા છે.
હુમાયુ કબીરે પોતાના ફેસબુક અકાઉન્ટ પર મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ માટે દાન ગણતો એક વિડિયો પોસ્ટ કર્યો છે. કબીરે દાવો કર્યો હતો કે બાબરી મસ્જિદ માટે લાખો રૂપિયાનું દાન મળ્યું છે, કુલ ૧૧ બૉક્સ દાનમાં એકત્રિત કરવામાં આવ્યાં છે. બાબરી મસ્જિદ માટે લાખો રૂપિયાનું દાન મળ્યું છે એવો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે ‘ઘણા લોકો કહી રહ્યા છે કે હું ભારતીય જનતા પાર્ટી (BJP) પાસેથી મળેલા ભંડોળથી મસ્જિદ બનાવી રહ્યો છું, પણ આ વિડિયો તેમને ખોટા સાબિત કરવા માટે છે. બાબરી મસ્જિદ દાનથી મળેલી રકમમાંથી બનાવવામાં આવશે. પૈસા ગણવા માટે ૩૦ લોકોને તહેનાત કરવામાં આવ્યા છે અને પૈસા ગણવા માટે મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગણતરી CCTV દેખરેખ હેઠળ થઈ રહી છે.’