20 September, 2022 09:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભગવંત સિંહ માન
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માન એક સપ્તાહ જર્મનીના પ્રવાસે ગયા હતા, જ્યાંથી તેઓ રવિવારે મોડી રાતે પરત ફર્યા હતા, પરંતુ તેમની વાપસી પહેલાં એક વિવાદ ઊભો થયો હતો. ફ્રૅન્કફર્ટના જે વિમાનથી તેઓ દિલ્હી આવવાના હતા એમાંથી તેમને ઉતારી દેવામાં આવ્યા હતા. તેમણે રવિવારે બીજી ફ્લાઇટ લીધી હતી. પંજાબ સરકારના અધિકારીઓએ આ દાવાને નકારતાં કહ્યું હતું કે ભગવંત માનની તબિયત સારી નહોતી એથી તેમણે જાતે જ ફ્લાઇટ લીધી નહોતી.
આમ આદમી પાર્ટીના પ્રવક્તા માલવિન્દર સિંહ કાંગે કહ્યું હતું કે અમારા રાજકીય વિરોધીઓ મુખ્ય પ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. તેઓ પંજાબમાં રોકાણ લાવવા માટે ગયા હતા. આમ આદમી પાર્ટીએ તબિયત ખરાબ હોવાની વાત કરી હતી, પરંતુ એક વેબસાઇટે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન નશામાં ધૂત હતા. તેઓ સ્થિર હાલતમાં નહોતા. તેઓ ઊભા રહી શકે એવી સ્થિતિમાં પણ નહોતા.