પુણે હાઇવે પર ટ્રક અને કારના ભીષણ અકસ્માતમાં ૯ હોમાયા

21 July, 2019 11:28 AM IST  |  પુણે

પુણે હાઇવે પર ટ્રક અને કારના ભીષણ અકસ્માતમાં ૯ હોમાયા

પુણે હાઇવે પર ટ્રક અને કારના ભીષણ અકસ્માતમાં ૯ હોમાયા

પુણેમાં શુક્રવાર મોડી રાતે ભીષણ ઍક્સિડન્ટ થયો હતો. કદમ વક વસ્તી ગામ પાસે પુણે-શોલાપુર હાઇવે પર એક કાર અને ટ્રક સામસામે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ૯ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં હતાં.
દુર્ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ મૃતદેહોને સ્થાનિક લોકોની મદદથી કારમાંથી બહાર કાઢ્યા હતા અને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે મૃત્યુ પામનારા તમામ લોકો પુણેના યવત ગામના રહેવાસી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે ‘શુક્રવાર રા‍તે લગભગ એક વાગ્યે શોલાપુર તરફ જઈ રહેલી કારની ઝડપ ઘણી વધારે હતી. એ દરમ્યાન અચાનક કાર લહેરાવા માંડી અને ડ્રાઇવરનું એના પર નિયંત્રણ નહોતું રહ્યું. ત્યાર બાદ કાર ડિવાઇડર પાર કરીને પુણે તરફ જઈ રહેલી એક ટ્રકમાં ઘૂસી ગઈ હતી.’

ત્યાર બાદ કારમાં સવાર લોકોને બચાવવા માટે લોકો ત્યાં દોડ્યા હતા, પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે તમામ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં હતાં. ત્યાર બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી.

આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

મૃત્યુ પામનારાઓમાં અક્ષય ભારત વાયકર, વિશાલ સુભાષ યાદવ, નિખિલ ચંદ્રકાંત વાબળે, સોનુ ઉર્ફે નૂર મોહમ્મદ અબ્બાસ દાયા, પરવેઝ આશપાક અત્તાર, શુભમ રામદાસ ભીસે, અક્ષય ચંદ્રકાંત ધિગે, દત્તા ગણેશ યાદવ અને જુબેર અઝીઝ મુલાનીનો સમાવેશ છે. તમામ લોકો એક જ ગામના રહેવાસીઓ છે.

pune national news