02 April, 2020 06:37 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે સવારે નવ વાગ્યે દેશવાસીઓ સાથે વાત કરશે. પીએમ મોદીનો આ વીડિયો મેસેજ રહેશે. આ પહેલા પીએમ મોદીએ 24 માર્ચના સાંજે દેશવાસીઓ સાથે વાત કરી હતી અને આખા દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ દરમિયાન આખા દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું અને કેટલાક વિસ્તારોમાં લાપરવાહીને કારણે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ના અત્યાર સુધી 1965 કેસ પૉઝિટીવ આવી ચૂક્યા છે. દેશઆખામાં કોરોનાથી 151 લોકોને સાજાં કરી દેવામાં આવ્યા છે. 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા 328 થઈ ગઈ છે અને અત્યાર સુધી 328 લોકોનું મૃત્યુ થઈ ગયું છે.
ભારતમાં કોરોના પર મેળવી શકાય છે કાબૂ
ભારતમાં કોરોનાના પહેલા પીડિતના બે મહિના પછી સંક્રમિતોની સંખ્યા બે હજાર પહોંચી રહી છે. છેલ્લા અઠવાડિયામાં એક હજાર કોરોના પીડિતોની સંખ્યા પાર કરનાર ભારત વિશ્વના 20 દેશોમાં સામેલ થઈ ચૂક્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા અને સંક્રમણ દરને લઇને ભારતની સ્થિતિ પર હજી પણ કાબૂ મેળવી શકાય છે. સરકાર પણ આને નિયંત્રિત સામુદાયિક સંક્રમણ કહી રહી છે.
પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વાત
દેશમાં ચાલતાં લૉકડાઉન દરમિયાન પીએમ મોદી સતત વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા દેશની હાલની સ્થિતિ પર ધ્યાન આપી રહ્યા છે. આજે પીએમ મોદીએ લૉકડાઉન દરમિયાન કોરોના વાયરસના જોખમ વિશે રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા વાતચીત કરી. વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે કોરોના વાયરસના દરદીઓ માટે જુદાં અને વિશેષ હૉસ્પિટલની જરૂરિયાત છે. આ બેઠકમાં પીએમ મોદી સાથે ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય પ્રમુખ લોકો હાજર હતા.