16 November, 2019 09:43 AM IST | New Delhi
પ્રતિકાત્મક તસવીર
ભારતીય રેલવેના પર્યટન અને ખાન-પાન વિભાગે ટ્રેનોમાં પીરસાતાં ચા-નાસ્તાની કિંમત વધારવાનો નિર્ણય કરતાં રાજધાની, શતાબ્દી અને દુરૉન્તો એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓએ હવે વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે.
આ ટ્રેનો એવી છે જેમાં ટિકિટ લેતી વખતે જ ચા-નાસ્તો અને ભોજનના પૈસા વસૂલ કરી લેવામાં આવે છે. બીજી ટ્રેનોમાં પણ ચા-નાસ્તો મોંઘાં થશે. જેમ કે અત્યારે ચાના એક કપના ૧૦ રૂપિયા લેવાય છે, પરંતુ હવે પછી ચાના એક કપના ૨૦ રૂપિયા ચૂકવવા પડશે. અન્ય ટ્રેનોના સેકન્ડ ક્લાસ સ્લીપરના ઉતારુઓએ ચાના કપના ૧૫ રૂપિયા ચૂકવવા પડશે. દુરૉન્તોમાં અગાઉ જે ચા-નાસ્તો ૮૦ રૂપિયામાં અપાતો હતો એના હવે ઉતારુઓએ ૧૨૦ રૂપિયા ચૂકવવા પડશે.
અલબત્ત ભાવવધારા સાથે ચા-નાસ્તાની ગુણવત્તામાં કોઈ ફેરફાર થશે કે નહીં એની સ્પષ્ટતા કરાઈ નથી. હાલમાં રાજધાની એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ એસીમાં ૧૪૫ રૂપિયામાં ભોજન અપાય છે. નવા દર અમલમાં આવતાં આ થાળીના ૨૪૫ રૂપિયા થઈ જશે.
નવા મેન્યૂ અને નવા ચાર્જિસની વિગતો ૧૫ દિવસમાં ટિકિટિંગ વ્યવસ્થામાં અપડેટ કરી દેવામાં આવશે અને ૧૨૦ દિવસ બાદ એટલે કે ૨૦૨૦માં એનો અમલ શરૂ થઈ જશે. આ ભાવવધારો પ્રીમિયમ ટ્રેનો ઉપરાંત સામાન્ય ટ્રેનો અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોના ઉતારુઓને પણ સરખો લાગુ પડશે.