31 May, 2019 08:52 PM IST | નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PC : PTI)
નરેન્દ્ર મોદી દેશના બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નવી સરકારની રચના થઇ ગઇ છે અને નવી સરકારની રચના બાદ પહેલી કેબીનેટ બેઠક પણ યોજાઇ ગઇ. જેમાં નવી સરકારનો પહેલો નિર્ણય કિસાનો માટે લેવામાં આવ્યો છે. મોદી સરકાર 2.0 નોપહેલો નિર્ણય કિસાન સમ્માન નિધિ યોજનાનો વ્યાપ વધારવાનો લેવામાં આવ્યો છે. મોદી સરકારે વચગાળાના બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણે, અત્યાર સુધી 2 હેકટરથી ઓછી જમીન પર ખેતી કરનાર ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની સમ્માન નિધિ ત્રણ સપ્તાહમાં મળતી હતી. હવે તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. 2 હેકટર જમીનની સીમા લાગૂ થશે નહિ. ભાજપે તેના ચૂંટણી ઢઢેરામાં આ વાયદો કર્યો હતો. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે હવે આ સ્કીમથી 14.5 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે. કેબિનેટે બીજો નિર્ણય નવા લોકસભા સત્રને લઈને કર્યો છે. આ બજેટ સત્ર હશે, જે 17 જૂનથી 26 જુલાઈ સુધી ચાલી શકે છે. આ સત્ર દરમિયાન 5 જૂલાઈ એ બજેટ રજૂ કરવામાં આવશે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે.
કિસાન સમ્માન નિધિ યોજનામાં 14.5 કરોડ ખેડુતોને લાભ થશે
આ અંગે તોમરે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 3 કરોડ ખેડૂતોના ખાતામાં આ યોજનાના પૈસા પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન એવી માંગ પણ ઉઠી કે તમામ ખેડૂતોને આ યોજનનો લાભ મળે. 12.5 કરોડ ખેડૂત આ યોજના અંતર્ગત આવતા હતા. 2 કરોડ ખેડૂત જ આ યોજનાથી વંચિત રહેતા હતા. હવે 14.5 કરોડ ખેડૂત લાભ લઈ શકશે. 87 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
મોદીએ શહીદોના બાળકોની સ્કોલરશીપ વધારી
દેશના બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલો નિર્ણય શહીદોના બાળકોની સ્કોલરશીપ વધારવાનો લીધો હતો. રાષ્ટ્રીય રક્ષા ફન્ડ અંતર્ગત છાત્રપ્રવૃતિ યોજનાનો ફાયદો હવે આતંકી અને નક્સલી હુમલામાં શહીદ થનારા પોલિસ કર્મચારીઓના બાળકોને પણ મળશે. એક વર્ષમાં રાજય પોલીસ કર્મીચારીઓના 500 બાળકોનો સ્કોલરશીપનો કોટા રહેશે. સ્કોલરશીપ યોજના અંતર્ગત હવે વિદ્યાર્થીઓને 2000ની જગ્યા એ 2500 રૂપિયા પ્રતિ મહિને અને વિદ્યાર્થીનીઓને 2250ની જગ્યાએ 3000 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે.