13 November, 2020 06:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દર વર્ષની જેમ આ વર્ષે પણ સેનાના જવાનોનો ઉત્સાહ વધારવા માટે દિવાળીનો તહેવારે તેમની સાથે ઉજવે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે જૈસલમેર બોર્ડર પર ભારતીય સેના (Indian Army)ના જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરી શકે છે.
વડાપ્રધાન મોદીની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (Bipin Rawat) અને સેના પ્રમુખ એમ. એમ. નરવણે (MM Narvane) પણ સામેલ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે દિવાળીનો તહેવાર દેશના સેનાના જવાનો સાથે ઉજવે છે. આ પહેલા તેમણે જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ સહિત અન્ય સ્થળોએ સેનાના જવાનોની વચ્ચે જઈને દિવાળી ઉજવી ચૂક્યા છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન મોદી જવાનો સાથે વાત કરે છે અને તેમના હાથે જ મીઠાઈ ખવડાવે છે.
વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં દિવાળી જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા પર તૈનાત જવાનો સાથે ઉજવી હતી. આ પહેલા વર્ષ 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડ સરહદ પર તૈનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તો વર્ષ 2017માં નરેન્દ્ર મોદી કાશ્મીરના ગુરેજ સેક્ટર ગયા હતા અને ત્યાં તૈનાત જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
છેલ્લા થોડા મહિનાઓથી લદાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. એવામાં વડાપ્રધાન મોદી જવાનોને મળી તેમનો ઉત્સાહ વધારશે. તેની સાથે જ સેનાના જવાનો પણ પોતાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિથી ઘણો સારો અનુભવ કરે છે. નોંધનીય છે કે , લદાખ તણાવની વચ્ચે પીએમ મોદી અચાનક લેહ પહોંચ્યા હતા અને તેઓેઅ જવાનો સાથે વાત કરીને તેમનો ઉત્સાહ અને જોશ વધાર્યો હતો.