07 February, 2026 07:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
`પરીક્ષા પે ચર્ચા`માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી
‘પરીક્ષા પે ચર્ચા’ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે મજાક કરતા જોવા મળ્યા હતા અને ગંભીર મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી. એક વિદ્યાર્થીએ ઉલ્લેખ કર્યો કે મારો જન્મદિવસ વડા પ્રધાનના જન્મદિવસ સાથે આવે છે. આ સાંભળીને આખો હૉલ સ્મિતથી ભરાઈ ગયો હતો. આનાથી વાતાવરણ હળવું થયું હતું એટલું જ નહીં, કાર્યક્રમમાં ઉષ્મા પણ વધી ગઈ હતી.
આ કમેન્ટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘મારી ૭૫મી વર્ષગાંઠ પર મને એક નેતાનો ફોન આવ્યો હતો. નેતાએ મજાકમાં મને કહ્યું કે તમે ૭૫ વર્ષના છો. આના પર મેં જવાબ આપ્યો કે મારી પાસે હજી પચીસ વર્ષ બાકી છે. હું આ ફિલસૂફી સાથે પોતાનું જીવન જીવું છું. હું જે ગયું છે એના માટે જીવતો નથી, હું જે બાકી છે એના માટે જીવું છું. તેથી હું તમને પણ વિનંતી કરું છું કે જે ગયું છે એની ગણતરી કરવામાં સમય બગાડો નહીં, જે બાકી છે એને જીવવા વિશે વિચારો.’