23 March, 2026 11:08 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
આવી કલાકૃતિ બનાવવી એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. પહેલાં ચોખાના દાણા ભેગા કરવામાં આવે છે.
ઓડિશાના એક રામભક્ત કલાકાર પરિવારે આશરે ૧,૨૧,૦૦૦ ડાંગરના દાણાનો ઉપયોગ કરીને ભગવાન શ્રી રામના દરબારને દર્શાવતી એક અનોખી કલાકૃતિ બનાવી હતી અને એને રામનવમી પહેલાં અયોધ્યાના રામકથા મ્યુઝિયમને ભેટ આપી દીધી હતી. આ કલાકૃતિ રામભક્તોમાં ચર્ચાનો વિષય બની છે.
આ કૃતિ ફક્ત એની સુંદરતા માટે જ નહીં પરંતુ એની અનોખી ટેક્નિક માટે પણ પ્રખ્યાત છે. કલાકાર લક્ષ્મી નારાયણ બક્ષી, તેના પરિવારના સભ્યો પંકજ અને શૈલજા દ્વારા બનાવવામાં આવેલી આ ખાસ કૃતિમાં ચોખાના દાણાની સાથે બારીક રેશમી દોરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જે એને વધુ આકર્ષક બનાવે છે.
આ કલાકૃતિ રામ દરબાર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે જેમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, માતા જાનકી અને ભક્ત હનુમાનની સુંદર મૂર્તિઓ છે. દૂરથી જોતાં ચહેરાની બનાવટ કાપડ જેવી દેખાય છે, પરંતુ નજીકથી જોવામાં આવે તો બારીક રેશમી દોરાઓની ઉત્કૃષ્ટ કારીગરી નજરે પડે છે. ભગવાન શ્રી રામનો ચહેરો વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યો છે, જ્યારે લક્ષ્મણના હાથમાં ધનુષ્ય અને તીર તેમની સતર્કતા અને સેવાનું પ્રતિનિધિત્વ કરે છે. માતા સીતાના હાથમાં કમળનું ફૂલ તેમની ગરિમા અને શાંતિનું પ્રતીક છે. હનુમાનને ભક્તિમય મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે, હાથમાં ગદા લઈને ભગવાન સમક્ષ નમન કરી રહ્યા છે જે શરણાગતિનો ભાવ જગાડે છે.
આંતરરાષ્ટ્રીય રામકથા મ્યુઝિયમના કન્વીનર સંજીવ કુમારે જણાવ્યું હતું કે ‘આ અનોખી કલાકૃતિને સ્વીકારવામાં આવી છે. ઔપચારિક નોંધણી હજી બાકી છે, પરંતુ ડિઝાઇનરો સાથે ચર્ચા ચાલી રહી છે કે એને ગૅલરીમાં યોગ્ય સ્થાન આપવામાં આવે જેથી ભક્તો આ અદ્ભુત કલાકૃતિને જોઈ શકે.’
આવી કલાકૃતિ બનાવવી એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. પહેલાં ચોખાના દાણા ભેગા કરવામાં આવે છે. પછી એક ફ્રેમમાં મૂકવામાં આવે છે અને કલાકારના દૃષ્ટિકોણ અનુસાર આકાર આપવામાં આવે છે. આ સંપૂર્ણ કૃતિ બનાવવામાં કલાકાર પરિવારને લગભગ ૮ મહિના લાગ્યા હતા. આ કૃતિ હવે અયોધ્યાની મુલાકાત લેતા ભક્તો માટે એક ખાસ આકર્ષણ બનવા માટે તૈયાર છે જે શ્રદ્ધા અને કલા બન્નેનું પ્રતીક છે.