28 December, 2019 08:18 AM IST | Raipur
રાહુલ ગાંધી અને પ્રકાશ જાવડેકર (PC : Jagran)
રાહુલ ગાંધીએ રાયપુરમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે NRC અને NPR ગરીબો પર ટેક્સ સમાન છે. 2016માં નોટબંધી સમયે દેશની ગરીબ જનતા જે રીતે હેરાન થઇ હતી તે રીતે ફરી હેરાન થશે. તો ભાજપે પણ કોંગ્રેસ પર શાબ્દીક યુદ્ધ છેડ્યું હતું અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે રાહુલ ગાંધી 2019ના લાયર ઓફ ધ યર છે.
NRC અને NPR ગરબો પર ટેક્સ સમાન : રાહુલ ગાંધી
રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય સમારંભમાં આવેલા રાહુલે કહ્યું કે એનપીઆર હોય કે એનઆરસી આ ગરીબો પર ટેક્સ છે. નોટબંધીમાં પણ ગરીબો પર ટેક્સ હતો. તમારા તમામ પૈસા બેન્કને આપી દો. પરંતુ તમે તમારા પૈસા કાઢી શકતા નથી. તમામ પૈસા 15-20 શ્રીમંતોના ગજવામાં જતા રહ્યા છે. એનપીઆર અને એનઆરસી પણ આજ વસ્તુ છે. તેમણે કહ્યું કે ગરીબોએ અધિકારીઓ પાસે જઈ દસ્તાવેજો બતાવવા પડશે. નામમાં કોઈપણ ભૂલ હશે તો લાંચ આપવી પડશે. ગરીબોના ગજવામાંથી કરોડ રૂપિયા કાઢીને પેલા 15-20 લોકોને અપાશે. આ લોકો પર એક પ્રકારે હુમલો છે. રાહુલે કહ્યું કે દુનિયામાં ચર્ચા થઈ રહી છે કે ભારતમાં હિંસા થાય છે. મહિલાઓ રસ્તા પર સ્વતંત્રતાથી ફરી શકતી નથી અને બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમજી શકતા નથી કે આ શું છે અને કેમ થઈ રહ્યું છે. વડાપ્રધાન પોતાનું કામ કરતાં નથી અને દેશનો સમય બરબાદ થઈ રહ્યો છે.
બે કેન્દ્રીય મંત્રીઓએ રાહુલને જવાબ આપ્યો
કોંગ્રેસ બતાવે સીએએમાં નાગરિકતા છીનવાની જોગવાઈ : અમિત શાહ
અમિત શાહે શિમલામાં એક જાહેરસભામાં કહ્યું કે કોઈની નાગરિકતા નહીં છીનવાય. કોંગ્રેસ એન્ડ કંપની અફવા ફેલાવી રહી છે કે આ કાયદો લઘુમતીઓની નાગરિકતા છીનવી લેશે. હું રાહુલને પડકારું છું કે કાયદામાં એક પણ એવી જોગવાઈ બતાવી દે જેનાથી કોઈની નાગરિકતા છીનવી શકાતી હોય.
આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ
જૂઠથી દેશ ગેરમાર્ગે નહીં દોરાય, દેશે કોંગ્રેસને નકારી : પ્રકાશ જાવડેકર
કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે લોકો જે માહિતી આપશે તે જ એનપીઆરમાં નોંધાશે. તેમાં ટેક્સ ક્યાંથી આવી ગયો. તેમણે કટાક્ષ કર્યો કે જયંતી ટેક્સ, કોલસા ટેક્સ, 2જી ટેક્સ, જીજાજી ટેક્સ તો કોંગ્રેસની સંસ્કૃતિ છે. રાહુલ સતત જુઠ્ઠુ બોલે છે. કોંગ્રેસ જુઠ બોલવાનું બંધ કરે. તેનાથી દેશ ગેરમાર્ગે નહીં દોરાય.