06 March, 2026 10:05 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પટનામાં અમિત શાહ અને નીતિન નબીનની ઉપસ્થિતિમાં રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકનપત્ર ભરતા નીતીશકુમાર.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ગઈ કાલે પટનામાં રાજ્યસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ ઉપસ્થિત હતા. આ ઘટનાક્રમે બુધવારથી શરૂ થયેલી ચર્ચાને સાચી પાડી હતી. નીતીશ કુમાર રાજ્યસભામાં જશે એ પછી બિહારનું સુકાન BJPનો નેતા સંભાળશે એ અટકળ હવે સાચી પડે છે કે નહીં એના પર બધાની નજર છે.
નીતીશ કુમારે ઉમેદવારી નોંધાવતાં પહેલાં ગઈ કાલે સવારે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી હતી કે હવે હું રાજ્યસભાનો સભ્ય બનવા ઇચ્છું છું.
પોતાની પોસ્ટમાં નીતીશકુમારે પોતાના સમર્થકોને સંબોધીને લખ્યું હતું કે ‘સંસદીય જીવન શરૂ કર્યું ત્યારથી મારા મનમાં એક ઇચ્છા હતી કે હું બિહાર વિધાનમંડળના બન્ને સદનો સાથે સંસદનાં બન્ને સદનનો સભ્ય પણ બનું. આ જ ક્રમમાં આ વખતે થઈ રહેલી ચૂંટણીમાં રાજ્યસભાનો સભ્ય બનવા ઇચ્છું છું. હું તમને ઈમાનદારીપૂર્વક વિશ્વાસ અપાવવા માગું છું કે આ સંબંધ ભવિષ્યમાં પણ જળવાયેલો રહેશે તથા તમારી સાથે મળીને વિકસિત બિહાર બનાવવાનો જે સંકલ્પ લીધો છે એ પૂર્વવત્ રહેશે. જે નવી સરકાર બનશે એને મારો પૂરો સહયોગ અને માર્ગદર્શન મળશે.’