02 February, 2020 10:18 AM IST | New Delhi
વિનય શર્મા
નિર્ભયા ગેંગરેપ કેસમાં એક અન્ય દોષિત વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. માહિતી પ્રમાણે, રાષ્ટ્રપતિએ ગઈ કાલે વિનયની મર્સી પિટિશન બરખાસ્ત કરી દીધી છે. આ પહેલા પણ ૧૭ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિએ દોષી મુકેશ સિંહની દયા અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ મુકેશે રાષ્ટ્રપતિના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયએ પણ આ અરજીને નકારી કાઢી હતી.
દોષી મુકેશ સિંહ અને વિનય શર્માના વિકલ્પ તો ખતમ થઈ ચૂક્યા છે. સાથે જ અક્ષય સિંહની ક્યૂરેટિવ પિટિશન પણ ફગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેણે અત્યર સુધી દયા અરજી દાખલ કરી ન હતી. જો કે, ચોથા દોષિત પવન ગુપ્તાએ ક્યૂરેટિવ અરજી દાખલ કરી નથી અને ન તો, રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલી છે.
આ પણ વાંચો : કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં 224 રૂપિયાનો વધારો
ઉલ્લેખનીય છે કે, ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ની રાત્રે દિલ્હીની ૨૩ વર્ષીય એક પેરામેડિક વિદ્યાર્થીની પોતાના મિત્ર સાથે દક્ષિણ દિલ્હીના મુનિરકા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર ઊભી હતી. તે સમયે આ બંને એક ફિલ્મ જોઈને ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ત્યાંથી પસાર થતી એક પ્રાઈવેટ બસમાં બેસી ગયા હતા. આ ચાલતી બસમાં એક સગીર યુવક સહિત ૬ લોકોએ આ યુવતી સાથે ખરાબ રીતે મારપીટ કરી અને ગેંગરેપ કર્યો હતો.